રાજકોટ
ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચેની રાજકોટના એસસીએ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ટી-20 મેચ 17મી જૂને રમાવાની છે. આ 5 મેચોની સિરીઝમાં ભારત 1-2થી પાછળ છે. જો ભારતે આ સિરીઝને જીવંત રાખવી હોય તો રાજકોટની મેચ જીતવી જરુરી છે, અને તે પછીની અંતિમ મેચ નિર્ણાયક સાબિત થશે. જોકે, ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભાગમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે તે જોતા રાજકોટની મેચ પર શંકાના વાદળો ઘેરાયેલા છે. આવો જાણીએ રાજકોટની પિચ અને જે દિવસે મેચ છે તે દિવસના હવામાન અંગે શું કહેવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે પાછલી મેચમાં ભારતીય બોલિંગ અને બેટિંગ બન્ને ડિપાર્ટમેન્ટે તરખાટ મચાવીને સાઉથ આફ્રીકા સામે આસાનીથી જીત મેળવી હતી.
રિષભ પંતની કેપ્ટનશિપમાં સાઉથ આફ્રીકા સામેની ટી20 સિરીઝ રમવા ઉતરેલી ભારતીય ટીમે શરુઆતની બે મેચ ગુમાવ્યા બાદ ત્રીજી મેચ જીતવામાં સફળતા મેળવી હતી. ભારતે ત્રીજી મેચમાં પહેલી બેટિંગ કરીને સાઉથ આફ્રીકા સામે 179 રનનો ટાર્ગેટ ઉભો કર્યો હતો જેની સામે સાઉથ આફ્રીકા 131 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. આ મેચમાં ઋુતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને બેટિંગ પાર્ટમાં તરખાટ મચાવ્યા પછી બોલિંગ ડિપાર્ટમેન્ટમાં હર્ષલ પટેલે 4 અને યુજવેન્દ્ર ચહલે 3 વિકેટ લઈને સાઉથ આફ્રીકાની કમર તોડી નાખી હતી. જો ભારત ચોથી મેચમાં હારનો સામનો કરે તો હોમ ટી20 સિરીઝમાં 2019 પછી પહેલી હાર થશે.
રાજકોટ જિલ્લામાં સતત 5 દિવસથી વરસાદ થઈ રહ્યો છે, આ સાથે આજે તથા આવતીકાલે એટલે કે મેચના દિવસે પણ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. જો મેચ દરમિયાન ભારે વરસાદ થયો તો મેચ રદ્દ થવાની સંભાવના છે અથવા તો પછી ઓવર ઘટાડીને ચોથી ટી20 રમાડવામાં આવી શકે છે. આ અંગે મેચ શરુ થયા પછી હવામાન કેવું રહે છે તે પ્રમાણે મેચ રેફરી દ્વારા નિર્ણય લેવામાં આવી શેક છે.
જો રાજકોટની ટી20 મેચ રદ્દ થાય તો ભારતે અંતિમ મેચ જીતવી જરુરી બનશે કારણ કે 2-1થી આગળ ચાલી રહેલું સાઉથ આફ્રીક આગળની એક પણ મેચ જીતશે તો સિરીઝ પર કબજો કરી લેશે. એટલે કે ભારતે સિરિઝ જીતવા માટે આગામી બન્ને મેચ જીતવી પડશે.
ભારતે રાજકોટમાં ત્રણ ટી20 મેચ રમી છે જેમાંથી માત્ર એક જ ગુમાવી છે. વર્ષ 2013માં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. વર્ષ 2017માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમે 40 રન સાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી 2019માં રાજકોટમાં રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું હતું.
રાજકોટની પિચ ફ્લેટ રહેવાની સંભવાના છે જેના કારણે તે બેટ્સમેનો માટે વધારે અનુકૂળ સાબિત થઈ શકે છે, એટલે પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ટીમ 200 રન સુધીનો તોતિંગ સ્કોર ઉભો કરી શકે છે.
આવામાં ભારતીય ટીમના ઓપનર ફોર્મમાં છે ત્યારે પહેલી બેટિંગ મળે તો ટીમ વિશાળ સ્કોર ઉભો કરી શકે છે. ખાસ કરીને અગાઉની ત્રણે મેચમાં ઈશાન કિશનનું બેટ ચાલ્યું છે અને રાજકોટમાં પણ તે પોતાનું ફોર્મ બતાવી શકે છે.
પાછલી મેચમાં તરખાટ મચાવનારા ભારતીય સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલ રાજકોટની મેચમાં પણ એવું પ્રદર્શન કરે તો મોટી વાત કહેવાશે, આવામાં આફ્રીકાના બોલર તબરેઝ શમ્સી પર પણ નજર રહેશે.