મહેસાણા
અમેરિકામાં ઘૂસવા માટે ઉત્તર ગુજરાતના લોકો ગમે તેવા જોખમ ખેડી નાખતા હોય છે. તાજેતરમાં જ કેનેડાની બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસવા જતા વધુ સાત યુવકો ઝડપાયો હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા. ઉત્તર ગુજરાતના સાત યુવકો અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશતી વખતે અમેરિકન ઈમિગ્રેશનના અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા હતા. એવા પણ રિપોર્ટ સામે આવ્યા હતા કે અંગ્રેજીમાં ઠોઠ હવા છતા પણ આઈલેટ્સમાં ઉંચા બેન્ડ મેળવ્યા હતા. જેનુ આખુ એક સ્કેમ ચાલી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે અંગ્રેજી ન આવડતું હોવા છતા પણ સર્ટિફિકેટ લઈને અભ્યાસના વિઝા મેળવીને કેનેડા પહોંચ્યા હતા અને ત્યાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા ઝડપાયા હતા. ત્યારે મહેસાણા જિલ્લાના ચાર યુવકોની આઈલેટ્સ મુદ્દે તપાસ કરી રહેલી એસઓજી પોલીસે આઈલેટ્સની વ્યવસ્થા કરતી એજન્સીના બે કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી.
ઉત્તર ગુજરાતના સાત યુવકો અભ્યાસના વિઝા મેળવીને કેનેડા પહોંચ્યા હતા. આ સાતેય યુવકો વાયા ક્યુબેક થઈને ન્યૂયોર્કમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમની ઉંમર 20-25 વર્ષ જેટલી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ યુવકો ગાંધીનગર તેમજ મહેસાણાના નિવાસી છે, જેઓ જુલાઈના બીજા સપ્તાહમાં કેનેડા જવા નીકળ્યા હતા, જ્યાંથી બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં એન્ટ્રી કરવાનો તેમનો પ્લાન હતો. કેનેડા અમેરિકા બોર્ડર વચ્ચે નદીમાંથી બોટ મારફતે ગેરકાયદે અમેરિકામાં ઘૂસતા તેઓ ઝડપાયા હતા. નવગુજરાત સમયના અહેવાલ મુજબ, ન્યાયિક કાર્યવાહી દરમિયાન અમેરિકાની કોર્ટમાં ચાર યુવકો અંગ્રેજી બોલતા કે સમજતા ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
અંગ્રેજી આવડતુ ન હોવા છતા પણ આ યુવકોએ આઈલેટ્સ કેવી રીતે પાસ કર્યું એવા સવાલો ઉભા થયા હતા. જેથી ક્રિમિનલ ફ્રોડ ઈન્વેસ્ટીગેટર યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ મહેસાણા જિલ્લા પોલીસ વડાને ઈમેઈલથી રિપોર્ટ મોકલ્યો હતો. જે બાદ મહેસાણા એસઓજીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં એવું સામે આવ્યું કે આ ચારેય યુવકોએ ગઈ 25-09-2021ના રોજ નવસારી ખાતે આવેલી હોટલ ફનસિટી સેન્ટરમાં આઈલેટ્સની પરીક્ષા આપી હતી. જેથી એસઓજીએ આઈલેટ્સની પરીક્ષા લેનારા અધિકારીઓ, સુપરવાઈઝરોની વિગતો સાથે યુવકો દ્વારા આપવામાં આવેલી પરીક્ષાની સપ્લીમેન્ટ્રીઓની નકલ વગેરે મેળવવા તજવીજ હાથ ધરી હતી.
એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, આ કેસની તપાસ માટે એસઓજીની એક ટીમ દિલ્હી પણ ગઈ હતી. આ સિવાય એસઓજીએ આઈલેટ્સની પરીક્ષા સાથે સંકળાયેલી અમદાવાદની એક એજન્સીના કર્મચારીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદની પ્લેનેટ ઈડીયુ એજન્સીના ઈન્દ્રજીત રાજપૂત અને ઝવેર સિસોદીયાએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. એસઓજીના પી.આઈ. બી.એચ.રાઠોડે જણાવ્યું કે, આઈલેટ્સની એજન્સી કામગીરી માટે તેમની પાસેથી વિગતો મેળવવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે, આઈલેટ્સની પરીક્ષા માટે વ્યવસ્થા કરતા હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે હવે આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.