મુંબઈ
શિવસેનાએ ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા સીમા વિવાદ મુદ્દે અને કાશ્મીરમાં વ્યાપેલા તણાવ મામલે પોતાના મુખપત્ર ‘સામના’ દ્વારા મોદી સરકારની ભારે ટીકા કરી છે. સામનામાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપરાંત બળવાખોર ટોળકીને પણ ટાર્ગેટ કરવામાં આવી છે. શિવસેનાના કહેવા પ્રમાણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આપણાં કાશ્મીર એટલે કે, પીઓકેમાં પગ મુકવો જોઈએ.
શિવસેના દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, આજે પણ મેહબૂબા મુફ્તી ભાજપને ચલાવે છે પરંતુ હિંદુત્વવાદી-રાષ્ટ્રવાદી શિવસેના ખતમ થઈ જાય તેવો તેમનો પ્રયત્ન છે. કાશ્મીરમાં પણ અલગાવવાદીઓને બળ આપવામાં આવી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં પણ અલગાવવાદીઓને વધુ પાવર આપવામાં આવી રહ્યો છે, તે પણ હિંદુત્વના નામે. આનાથી મોટો ઢોંગ શું હોઈ શકે?
સામનાના તંત્રી લેખમાં લખ્યું છે કે, મોદી રાજમાં એક મહિલા નેતા અલગાવવાદનો ઝંડો ફરકાવે છે અને તેમ છતાં મોદી-શાહ શા માટે ચૂપ છે? શું કાયદો ફક્ત રાજકીય વિરોધીઓની શ્વાસનળી બંધ કરવા જ છે? એક દેશ, એક બંધારણ, એક નિશાન તે આઝાદીના અમૃત મહોત્સવનો મંત્ર હોવો જોઈએ. કાશ્મીરમાં તેને નિષ્ફળ બનાવવા પ્રયત્ન કરાયો.
પીડીપી અધ્યક્ષ અને આઝાદ કાશ્મીરના સમર્થક મેહબૂબા મુફ્તીએ સીધી રીતે ભારતના સાર્વભૌમત્વને પડકાર ફેંક્યો. મુફ્તીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કાશ્મીરનો ઝંડો ફરકાવ્યો. કાશ્મીરમાં 370 નાબૂદી સાથે જ અલગ ધ્વજ પણ રદ થયો હતો. મોદી-શાહે કાશ્મીર સંપૂર્ણપણે ભારતનું અવિભાજ્ય અંગ છે તેવી જાહેરાત સાથે ઉજણવી કરી. વાસ્તવિકતા એ છે કે, કાશ્મીરી પંડિતોની અવસ્થા કે અલગાવવાદીઓનો દુર્ભાગ્યપૂર્ણ ખેલ, કશું જ નથી બદલાયું. અલગાવવાદી સંગઠનોનો ઝેરી નાગ ફુંફાડા મારી રહ્યો છે.
શિવસેનાએ લખ્યું છે કે, ‘વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આઝાદીના અમૃત મહોત્સવમાં પાકિસ્તાને પડાવી લીધેલા આપણાં કાશ્મીર (પીઓકે)માં પગ મુકવો જોઈએ. સાથે જ મહારાષ્ટ્રના નવમર્દ એકનાથ શિંદે, કેસરકર, સામંત, ભુસેને સાથે લઈ જવા જોઈએ.’
શિવસેનાએ અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, ચીનના વિરોધને અવગણીને અમેરિકાના નેન્સી પેલોસીએ તાઈવાનની ધરતી પર પગ મુક્યો. તાઈવાન ચીનનો હિસ્સો છે તે માન્યતાને ફગાવીને અમેરિકનો તાઈવાનમાં ઘૂસ્યા. અહીં આપણાં દેશમાં ચીની સેના લદ્દાખની જમીન પર કબજો જમાવીને બેઠી છે અને 37 હજાર સ્ક્વેર કિમી જમીન પડાવી લીધી છે. દેશમાં અલગાવવાદીઓનો ઉત્સવ ચાલી રહ્યો છે. આઝાદીનો અમૃત મહોત્સવ કેન્દ્રના સત્તાધારીઓનો પાર્ટીનો કાર્યક્રમ બની ગયો છે પરંતુ દેશની સામાન્ય જનતા માટે આઝાદીનું અમૃત ક્યાં છે તે સવાલનો જવાબ શોધાઈ રહ્યો છે.