પત્ની પાસે ઘરકામની અપેક્ષા પતિની ક્રૂરતા ન કહેવાયઃ કોર્ટ

Spread the love

કોઈ પુરુષને તેની પત્ની તેના પરિવારથી દૂર રહેવા માટે ફરજ પાડે તો તે પતિ સાથે ક્રુરતા થઈ ગણાયઃ કોર્ટનો અભિપ્રાય

નવી દિલ્હી

પતિ-પત્નીના ઝઘડામાં દિલ્હી હાઈકોર્ટે એક રસપ્રદ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટનું કહેવું છે કે પત્નીએ ઘરનું કામ કરવું જોઈએ તેવી પતિ અપેક્ષા રાખતો હોય તો તેને ક્રુરતા ન કહેવાય. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે કોઈ પુરુષને તેની પત્ની તેના પરિવારથી દૂર રહેવા માટે ફરજ પાડે તો તે પતિ સાથે ક્રુરતા થઈ ગણાય. કોર્ટના કહેવા પ્રમાણે લગ્નનો હેતુ એ હોય છે કે પતિ-પત્ની બંને ભવિષ્યની જવાબદારીઓ વહેંચશે. તેથી પતિ એવી અપેક્ષા રાખે કે તેની પત્ની ઘરકામ કરશે, તો તેને ક્રુરતા ન કહી શકાય. પરિણિત મહિલાને ઘરકામ કરવાનું કહેવામાં આવે તો તેની પાસે નોકરની જેમ કામ કરાવ્યું એમ ન કહી શકાય. કારણ કે મહિલા પોતાના પરિવારના પ્રેમ અને લાગણી માટે કામ કરતી હોય છે.

આ કેસમાં પતિ સીઆઈએસએફમાં નોકરી કરે છે. તેની ફરિયાદ હતી કે તેની પત્ની ઘરકામ નથી કરતી, પતિને ઘરમાં સાથે રહેવા નથી દેતી અને પતિ સામે ખોટા ક્રિમિનલ કેસ દાખલ કર્યા છે. પતિનું કહેવું છે કે પત્નીના પરિવારજનો તેને પોતાના પરિવારથી અલગ રહેવા માટે દબાણ કરે છે.
જસ્ટિસ સુરેશ કુમાર કૈતની બેન્ચે જણાવ્યું કે કોઈ પણ પુત્રની ફરજ હોય છે કે તે પોતાના વૃદ્ધ માતાપિતાની સારસંભાળ રાખે. આ કેસમાં વૃદ્ધ માતાપિતાની કોઈ આવક નથી અને તેઓ સંપૂર્ણપણે પુત્ર પર નિર્ભર છે. હિંદુ સંસ્કૃતિમાં પુત્ર લગ્ન પછી પોતાના માતાપિતાને અલગ કરી દે તે ઈચ્છનીય નથી. સુપ્રીમ કોર્ટે એક કેસમાં કહ્યું છે કે કોઈ પુત્રને તેના માતાપિતાથી અલગ રહેવા માટે દબાણ કરવું એ ક્રુરતા છે. ભારતમાં હિંદુ સંસ્કૃતિમાં પુત્ર લગ્ન પછી અલગ રહેવા લાગે તે ઈચ્છનીય નથી.
કોર્ટે કહ્યું કે બે વ્યક્તિ જ્યારે લગ્ન કરે ત્યારે તેઓ ભવિષ્યની જવાબદારીઓ એક સાથે ઉઠાવવા માટે સહમત હોય છે. કોઈ પરિણિત મહિલાને ઘરનું કામ કરવાનું કહેવામાં આવે તો તેને કામવાળીની જેમ રાખવામાં આવી છે તેમ કહી ન શકાય. સામાન્ય રીતે પતિ પરિવાર માટે નાણાકીય જવાબદારી ઉઠાવે છે અને પત્ની ઘરકામ કરવાની જવાબદારી લે છે. આ કેસમાં જો પત્ની ઘરકામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય તો પતિ ક્રુરતા આચરે છે તેમ કહી ન શકાય.
આ કેસમાં પતિએ પોતાનું લગ્નજીવન બચાવવા માટે પતિ માટે અલગ ઘરની વ્યવસ્થા પણ કરી છે, પરંતુ પત્ની તેને છોડીને એક કે બીજા બહાને પોતાના માતાપિતા સાથે રહે છે. એક તરફ મહિલા પોતાના પતિ કે સાસુ-સસરા સાથે રહેવા તૈયાર નથી. બીજી તરફ તે પોતાના માતાપિતા સાથે જ રહે છે. પતિ-પત્નીએ એકબીજાથી વારંવાર અલગ થવું ન જોઈએ તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *