4 ઓગસ્ટ સુધીમાં સર્વે માટે એક ટીમ બનાવવાનો, કોઈ નુકસાન પહોંચાડ્યા વિના વૈજ્ઞાનિક રીતે સર્વે કરવાનો કોર્ટનો આદેશ
વારાણસી
વારાણસીમાં, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી સંકુલના સર્વેક્ષણ માટેના આદેશ પર મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. વારાણસીના જિલ્લા ન્યાયાધીશની અદાલતે વુજુ સ્થળ સિવાય જ્ઞાનવાપીના અન્ય પરિસરનો એએસઆઈસર્વે કરાવવાની માંગને મંજૂર કરી છે. આ પહેલા શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણના આદેશ પર સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. આવી સ્થિતિમાં વજુખાના સિવાયના વિસ્તારનો સર્વે કરી શકાય. જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે 14 જુલાઈના રોજ આ મામલે સુનાવણી પૂર્ણ કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
કોર્ટે એએસઆઈના ડાયરેક્ટરને સર્વે કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, તેઓએ કોઈ નુકસાન પહોંચાડ્યા વિના વૈજ્ઞાનિક રીતે સર્વે કરાવવો જોઈએ. કોર્ટે એએસઆઈના ડાયરેક્ટરને 4 ઓગસ્ટ સુધીમાં સર્વે માટે એક ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. હિન્દુ પક્ષ કોર્ટના નિર્ણયને પોતાની મોટી જીત ગણાવી રહ્યું છે.
આ મામલે 14 જુલાઈએ વારાણસીના પ્રસિદ્ધ શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં મસ્જિદનો સર્વે કરાવવાની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ જિલ્લા ન્યાયાધીશે ચુકાદો અનામત રાખ્યો હતો. 16 મે, 2023 ના રોજ, હિંદુ પક્ષે ચાર અરજદાર મહિલાઓ વતી એક અરજી સબમિટ કરી હતી, જેમાં માગણી કરવામાં આવી હતી કે જ્ઞાનવાપી મસ્જિદના વિવાદિત ભાગ સિવાયના સમગ્ર સંકુલની એએસઆઈદ્વારા તપાસ કરવામાં આવે. આ અરજી પર ચુકાદો આપતાં કોર્ટે મંજૂરી આપી છે.