ધ્વજમાં અશોક ચક્રના સ્થાને ઊર્દૂમાં કેટલાક શબ્દો લખવામાં આવ્યા હતા અને નીચે તલવારનું ચિન્હ હતું
મેદીનીનગર (ઝારખંડ) :
ઝારખંડના પલામુ જિલ્લામાં તાજીયાના સરઘસ દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડ કરવાની હકીકત બહાર આવી છે. તે બાબતે ૧૮ લોકોની ધરપકડ કરાઈ છે. તેઓની વિરુદ્ધ એફ.આઈ.આર. પણ દાખલ થઈ છે.
આ માહિતી આપતાં એડીશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઋષભ ગર્ગે પત્રકારોને જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે સાંજે તે સમયે બની હતી કે જયારે મહોરમનો જુલુસ ચેનપુર થાણાના, શાહપુર, કલ્યાણપુર અને કંકારી જેવા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. તે દરમ્યાન સંગીત વગાડવામાં આવતું હતું અને ત્રિરંગો ધ્વજ ફરકતો હતો. પરંતુ તે અંગે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે ધ્વજના ત્રણે રંગો કેસરી, સફેદ અને લીલા જ હતા. પરંતુ તેમાં અશોક ચક્ર ન હતું.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમાં અશોક ચક્રના સ્થાને ઊર્દૂમાં કેટલાક શબ્દો લખવામાં આવ્યા હતા અને નીચે તલવારનું ચિન્હ હતું. તેથી ૧૩ નામચીન તોફાનીઓ સહિત ૧૮ લોકો વિરુદ્ધ રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનીયમ નીચે તે અઢારે અઢારની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી.