કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રીને પૂછશો તો તમને જણાવશે કે અસલમાં તે તેમના મંત્રાલય નથી ચલાવી રહ્યા પણ આરએસએસ દ્વારા નિમાયેલા ઓએસડી ચલાવી રહ્યા છે
લદાખ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદાખની મુલાકાતે છે. તેઓ અહીં પાર્ટીના નેતાઓની સાથે લદાખની જુદી જુદી જગ્યાઓ પર યુવાઓ સાથે વાતચીત કરશે. તેઓ એલએસીની પણ મુલાકાત લેવાના છે. લદાખમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આજે દરેક સંસ્થાનમાં આરએસએસ તેના માણસોને રાખી રહ્યું છે.
આરએસએસના લોકો જ બધુ ચલાવી રહ્યા છે. એટલું જ નહીં જો તમે કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રીને પૂછશો તો તમને જણાવશે કે અસલમાં તે તેમના મંત્રાલય નથી ચલાવી રહ્યા પણ આરએસએસ દ્વારા નિમાયેલા ઓએસડી ચલાવી રહ્યા છે. એ જ બધુ કરી રહ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાગલાવાદ મુદ્દે યુવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરી. તેમના સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે દેશમાં અમુક રાજકીય લોકો નફરતનો માહોલ બનાવી રહ્યા છે. જો તમે ભારતમાં ચાલશો, જનતા વચ્ચે જશો તો ત્યાં જોશો કે લોકો એકબીજાને કેટલો પ્રેમ કરે છે, સન્માન આપે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં જે વિવિધતા છે તે જ આપણા દેશની તાકાત છે. તેને લોકો ઊંડાઈપૂર્વક સમજે છે. મને લોકો વચ્ચે જઈને ઘણું શીખવા મળ્યું. અલગ અલગ રાજ્યોમાં અમે ગયા. હજારો લોકો સાથે વાત કરી. દેશના મુખ્ય મુદ્દા બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ તેના પર વાત થતી નથી, કાં તો નફરતની વાત થાય છે કાં પછી ઐશ્વર્યા રાય કે શાહરુખ ખાનની ચર્ચા થાય છે. દેશના મુખ્ય મુદ્દાઓની તો અવગણના જ થાય છે.