દેશના 75માં પ્રજાસત્તાક દિને દિલ્હીમાં અભેદ્ય કિલ્લેબંધી, 14 હજાર સુરક્ષા કર્મચારીઓ તહેનાત

Spread the love

દિલ્હી પોલીસ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર, કમાન્ડો, ક્વિક રિએક્શન ટીમ (ક્યુઆરટી), પીસીઆર વાન અને સ્વૉટ ટીમ પણ અલગ-અલગ સ્થળોએ તહેનાત


નવી દિલ્હી
દેશમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિલ્હીના કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીએ જવાનો કદમતાલ મિલાવતા નજરે પડશે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે દિલ્હીના દરેક ખૂણે ચાંપતી નજર રાખવા માટે 14 હજાર સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે.
સ્પેશિયલ કમિશનર (સુરક્ષા) દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે ’77 હજારથી વધુ અતિથિઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત કમાન્ડો, ક્વિક રિએક્શન ટીમ (ક્યુઆરટી), પીસીઆર વાન અને સ્વૉટ ટીમ પણ અલગ-અલગ સ્થળોએ તહેનાત કરવામાં આવશે. દિલ્હી પોલીસ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.’
સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) મધુપ તિવારીએ જણાવ્યું હતું કે, ‘વિસ્તારને 28 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને દરેક ઝોન પર ડીસીપી અથવા એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દેખરેખ રાખવામાં આવશે. દિલ્હી પોલીસે પણ મુલાકાતીઓની સુવિધા માટે ઘણી તૈયારીઓ કરી છે. પોલીસે મહત્ત્વપૂર્ણ સ્થળો પર ગુમ થયેલ લોકો માટે મિસિંગ બૂથ, હેલ્પ ડેસ્ક, પ્રાથમિક સારવાર અને વાહનોની ચાવીઓ જમાં કરાવવા માટે કેન્દ્રો ઉભા કર્યા છે.
દિલ્હી પોલીસે મુલાકાતીઓને સવારે 8 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોંચી જવાની અપીલ કરી છે, જેથી ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આજે રાત્રે 10 વાગ્યાથી દિલ્હીની સરહદો સીલ કરવામાં આવશે અને આ દરમિયાન ભારે વાહનો અને માલસામાનની અવરજવર બંધ કરવામાં આવશે. 26મી જાન્યુઆરીની પરેડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે પણ એડવાઈઝરી જારી કરી છે. આ મુજબ, ગુરુવારથી પરેડ સમાપ્ત થાય તે દિવસ સુધી કર્તવ્ય પાથથી વિજય ચોક અને ઈન્ડિયા ગેટ સુધી કોઈપણ પ્રકારની ટ્રાફિક અવરજવર રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *