બાઉન્ડ્રી તરફ જતા બોલને રોકવા જતા દોડ્યો હતો અને બોલ ઉપાડવા માટે ઝૂક્યો હતો ત્યારે તેના ડાબા પગની ઘૂંટી વળી જતા પગ મચકોડાઈ ગયો
જોહાનિસબર્ગ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની સીરિઝની છેલ્લી અને નિર્ણાયક ટી20 મેચ ગઈકાલે જોહાનિસબર્ગમાં રમાઈ હતી જેમાં ભારતીય ટીમનો 106 રને વિજય થયો હતો અને સીરિઝ 1-1થી બરાબર કરી હતી. આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારી હતી, જો કે ફિલ્ડિંગ દરમિયાન તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
સાઉથ આફ્રિક સામે ટી20માં કેપ્ટનશીપ કરનાર સૂર્યકુમાર યાદવને લઈને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગઈકાલે રમાયેલી સીરિઝની છેલ્લી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની ઈજા એટલી ગંભીર હતી કે તે ચાલી પણ શક્તો ન હતો અને તેને મેડિકલ સ્ટાફ તેમજ અન્ય ખેલાડીઓ દ્વારા ઉચકીને મેદાન બહાર લઈ ગયા હતા. સૂર્યકુમાર યાદવ બહાર જતા રવીન્દ્ર જાડેજાએ કેપ્ટશીપ સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી.
ગઈકાલે સીરિઝની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ભારતીય ટીમના કેપ્ટન ટોસ હારી જતા પ્રથમ બેટિંગ મળી હતી જેમાં ટીમે 7 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર ઈનિંગ રમીને 56 બોલમાં જ સદી ફટકારી દીધી હતી જેમાં તેણે 8 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત સૂર્યકુમારે યશસ્વી સાથે 70 બોલમાં 112 રનની પાર્ટનરશિપ કરી હતી.
ભારતની ફિલ્ડિંગ દરમિયાન જ સુર્યકુમાર ઈજાગ્રસ્ત થયો હતો. તે બાઉન્ડ્રી તરફ જતા બોલને રોકવા જતા દોડ્યો હતો અને બોલ ઉપાડવા માટે ઝૂક્યો હતો ત્યારે તેના ડાબા પગની ઘૂંટી વળી જતા પગ મચકોડાય ગયો હતો અને તે મેદાન પર જ બેસી ગયો હતો. તેની ઈજા એટલી ગંભીર હતી કે તે ચાલી પણ શકતો ન હતો અને તેને ઉચકીને મેદાન બહાર લઈ જવાયો હતો.
સૂર્યકુમાર લેટેસ્ટ આઈસીસી ટી20 બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે અને તેણે ભારતીય ટીમ સાથે અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ટી20 સીરિઝ પણ રમવાની છે. ત્યારબાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) રમાશે. આઈપીએલ પછી ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024 પણ રવાની છે પરંતુ તેની ઈજાને જોતા એવું લાગી રહ્યું છે કે તે આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે અથવા તો ટૂર્નામેન્ટની વચ્ચે તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાઈ શકે છે.