ગાડી માલિકે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને આ મામલે ફરિયાદ કરી

નવી દિલ્હી
અત્યાર સુધી તમે ટોલ નાકા પરથી કાર કે અન્ય ફોર વ્હીલરને પસાર થવા પર જ ફાસ્ટેગથી રૂપિયા કપાતા જોયા અને સાંભળ્યા હશે પરંતુ મધ્ય પ્રદેશના નર્મદાપુરમમાં એક નવો અને અનોખો મામલો સામે આવ્યો છે. ઘરની બહાર ઊભેલી એક કારનો 175 કિમી દૂર ટોલ ટેક્સ કપાઈ ગયો. હવે ગાડી માલિકે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને આ મામલે ફરિયાદ કરી છે.
નર્મદાપુરમના માખનનગર રોડ પર રહેતા દયાનંદ પચોરીની કાર ઘરમાં બનેલી દુકાનની સામે ઊભી હતી. 27 નવેમ્બરે ગાડીના ફાસ્ટેગથી લગભગ 175 કિમી દૂર વિદિશાના સિરોન્જ સ્થિત ટોલ પ્લાઝા પર 40 રૂપિયા કપાઈ ગયાનો મેસેજ આવ્યો. મેસેજ જોતા જ ટોલ પ્લાઝાના ટોલ ફ્રી ફરિયાદ નંબર પર ફરિયાદ નોંધાવામાં આવી અને ફરિયાદ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નહીં.
પીડિતે મામલા અંગે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના કાર્યાલયમાં કોલ કર્યો. તેમના કાર્યાલયથી પીડિતને જણાવાયુ કે સંબંધિત સમસ્યાને ઈ-મેલ આઈડી પર મેલ કરી દો. જે બાદ કાર માલિકે પત્ર લખીને ઈ-મેલના માધ્યમથી ફરિયાદ કરી છે.
પીડિત દયાનંદ પચૌરીએ જણાવ્યુ કે 27 નવેમ્બરે હુ દુકાન પર કામ કરી રહ્યો હતો. અચાનક મારા મોબાઈલ પર મેસેજ આવ્યો છે કે વિદિશાની પાસે સિરોન્જ ટોલ નાકા પર મારી કારના ફાસ્ટ ટેગથી 40 રૂપિયા કપાઈ ગયા છે જ્યારે હુ આજ સુધી ક્યારેય સિરોન્જ ગયો નથી. અમે ટોલ ફ્રી નંબર 1035 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી પરંતુ કોઈ સંતોષજનક જવાબ મળ્યો નહીં.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરના માધ્યમથી કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો નંબર મળ્યો અને તે નંબર પર ફોન કર્યો તો અંગત સચિવે ફોન ઉઠાવ્યો. કેન્દ્રીય મંત્રીના પીએએ પીડિતને જણાવ્યુ કે સંબંધિત સમસ્યાને ઈમેલ આઈડી પર મેલ કરી દો. અમે તેની સત્યતાની તપાસ કરીશુ પરંતુ હજુ સુધી સમસ્યાનું કોઈ નિદાન થયુ નથી.
