જાતિને દરેક મુદ્દામાં ન ઢસડવી જોઈએઃ મલ્લિકાર્જુન ખડગે

Spread the love

શું રાજ્યસભામાં દરેક વખતે મને બોલવાની મંજૂરી નથી મળતી તો શું હું એમ કહીશ કે હું દલિત છું એટલે મને બોલવાની તક નથી અપાતી, કોંગ્રેસના નેતાનો સવાલ


નવી દિલ્હી
રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરવા મુદ્દે બુધવારે રાજ્યસભાની અંદર અને બહાર બંને જગ્યાએ ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી. સાંસદોને સસ્પેન્ડ કરવા વિરુદ્ધ સંસદના પગથિયાં પર વિપક્ષના દેખાવો દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ નેતા કલ્યાણ બેનર્જી દ્વારા ઉપરાષ્ટ્રપતિ ધનખડની મજાક બનાવાઈ હતી. કલ્યાણ બેનર્જી દ્વારા મિમિક્રી કરાયા બાદ રાજકીય વિવાદ સર્જાયો હતો અને ભાજપે આ ઘટનાની આકરી ટીકા કરી હતી. હવે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મોટું નિવેદન આપ્યું હતું.
માહિતી અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે જાતિને દરેક મુદ્દામાં ઢસડવી ન જોઈએ. તેમણે સવાલ કર્યો કે શું રાજ્યસભામાં દરેક વખતે મને બોલવાની મંજૂરી નથી મળતી તો શું હું એમ કહીશ કે હું દલિત છું એટલે મને બોલવાની તક નથી અપાતી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે સંસદ પરિસરમાં એક ટીમેઅસી નેતા દ્વારા તેમની મિમિક્રી કરવાનો મામલો જાહેરમાં આવતા કહ્યું હતું કે સંસદ પરિસરમાં મારી નકલ ઉતારીને ખેડૂત સમાજ અને મારી જાતિ (જાટ) સમુદાયનું અપમાન કરાયું છે.
ખડગેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સભાપતિનું કામ બીજા સભ્યોને સુરક્ષા આપવાનું છે પણ તે પોતે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. મને અનેકવાર રાજ્યસભામાં બોલવાની મંજૂરી નથી અપાતી તો શું હું એમ કહું કે હું દલિત છું… એટલા માટે મને જાતિના નામે બોલીને લોકોને ભડકાવવા જોઈએ. ખડગેએ સવાલ કર્યો કે સંસદની સુરક્ષા ચૂક પર પીએમ મોદી અને ગૃહમંત્રી ગૃહમાં કેમ કંઇ ના બોલ્યા અને પોતાની વાત બહાર જઈને રજૂ કરી. શું આ વાત માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે માફી ન માગવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *