રાજકારણ છોડવાના નિર્ણય વિશે જણાવ્યું કે તેણે હંમેશા માટે રાજકારણ છોડ્યું નથી, તે થોડા સમય માટે રાજકારણથી દૂર થયો છે

નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુ 28 ડિસેમ્બરના રોજ યુવાજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) સાથે જોડાયો હતો. પરંતુ હવે રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને રાજકારણ છોડી દીધું છે. તેણે પોતે જ રાજકારણ છોડવાના નિર્ણય વિશે જણાવ્યું છે. જો કે તેણે હંમેશા માટે રાજકારણ છોડ્યું નથી. તે થોડા સમય માટે રાજકારણથી દૂર થયો છે.
અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (એક્સ) પર ટ્વિટ કરતા લખ્યું, ‘આ બધાને જણાવવા માટે છે કે મેં વાયએસઆરસીપી પાર્ટી છોડવાનો અને થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. યોગ્ય સમયે આગળની કાર્યવાહી જાહેર કરવામાં આવશે.’ રાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની હાજરીમાં પાર્ટી સાથે 28 ડિસેમ્બરના રોજ જોડાયો હતો. આ દરમિયાન રાજ્યના ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી પણ હાજર હતા. પાર્ટી છોડવાના નિર્ણય અંગે રાયડુએ કઈ સ્પષ્ટ કર્યું નથી.
રાયડુએ આઈપીએલ 2023 પછી ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. આઈપીએલ 2023માં અંબાતી રાયડુ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ હતો. જો કે આ પહેલા વર્ષ 2019માં રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. તેણે પોતાના ક્રિકેટિંગ કરિયરમાં 55 વન-ડે અને 6 ટી20આઈ મેચ રમી હતી. આ ઉપરાંત તેણે પોતાના કરિયરમાં 203 આઈપીએલ મેચો રમી છે.