બાવળાથી શરૂ થનારી યાત્રા બિંદુ સરોવર, અંબાજી, જયપુર, દિલ્હી, હરિદ્વાર અને શ્રી આદિ કૈલાશ પણ જશે

અમદાવાદ
શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી દિશાને પુનઃ પ્રજ્વલિત કરવાનો છે.
33 મિનિટનો યજ્ઞ અને પવિત્ર પ્રતિજ્ઞા
અખંડ સનાતન જનજાગૃતિ યાત્રા પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 પરીવ્રાજકાચાર્ય, ક્ષોત્રિય બ્રહ્મનિષ્ટ, જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરિ મહારાજ, અનંત શ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકારે દિવ્ય સંકલ્પથી આ આધ્યાત્મિક મહાયજ્ઞ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યાત્રા પ્રથમ દિવસે સવારે, 33 મિનિટનો યજ્ઞ અને પવિત્ર પ્રતિજ્ઞા લીધા બાદ, બાવળાથી શરૂ થશે. જે, બિંદુ સરોવર ખાતે પહોંચશે, અને ત્યાં દૂધ, ફૂલો અને દીવાઓનો ઉપયોગ કરીને પૂજા કરવામાં આવશે; ત્યારબાદ, પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, યાત્રીઓ શ્રી અંબાજી તરફ આગળ વધશે. શ્રી જગતજનની મા અંબા ના દર્શન કરશે.
પુષ્કર–જયપુર–દિલ્હી જશે
યાત્રા પુષ્કરના શ્રી પંચ દશનામ જુના અખાડા આશ્રમમાં, રાત્રી રોકાણ બાદ બીજા દિવસે આ યાત્રા પુષ્કરરાજ શ્રી બ્રહ્મા જી મંદિર જયપુર તરફ પ્રસ્થાન કરશે, ત્યારબાદ જયપુરમાં શ્રી બાંકે બિહારી ઠાકોરજીના “સંકલ્પ દર્શન” કર્યા બાદ તે દિલ્હી રવાના થશે. ત્રીજા દિવસે દિલ્હીમાં, નવા સંસદ ભવનની મુલાકાત કરી અને કેટલાક પવિત્ર અને સદાચારી સંસદસભ્યોને આશીર્વાદ આપશે.
ઋષિકેશમાં પવિત્ર સંકલ્પ સાથે સ્નાન કરાશે
આ યાત્રા દિલ્હીથી હરિદ્વાર જવા રવાના થશે. ચોથા અને પાંચમા દિવસે હરિદ્વાર બાદ યાત્રા ઋષિકેશ પવિત્ર સંકલ્પ સાથે સ્નાન કરશે. સાતમાં દિવસે આ યાત્રા શ્રી જાગેશ્વર ધામ ઉત્તરાખંડ પહોંચશે. આઠમાં દિવસે ઉત્તરાખંડમાં આવેલા શ્રી કાલી માતા મંદિરના દર્શન કરવામાં આવશે.
નવમા દિવસે શ્રી આદિ કૈલાશ સંકલ્પનાં દર્શન
નવમાં દિવસે આ યાત્રા શ્રી આદિ કૈલાશ સંકલ્પ દર્શને પહોંચશે. જ્યાં શ્રી ગણેશ પર્વત અને શ્રી પાર્વતી સરોવરના દર્શન કરવામાં આવશે. આ ઉપરાંત, શ્રી ઓમ પર્વતના દર્શન કરી ત્યાંથી પૂજા પાઠ કરી પવિત્ર જળ લઇ અયોધ્યા પહોંચી 11 મા દિવસે ભગવાન શ્રી રામના દર્શન કરવામાં આવશે. છેલ્લે 12માં દિવસે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના સંકલ્પ દર્શન કરવામાં આવશે. આ સમગ્ર યાત્રા માત્ર પ્રદર્શન નહીં, પરંતુ આંતરિક આત્મજાગૃતિનો પવિત્ર માર્ગ છે.
