કૌટુંબિક વિખવાદનો કરૂણ અંજામ, કપડવંજ નજીક કેનાલમાં પરિવારના ચાર સભ્યો ડૂબ્યા, ત્રણનાં મોત

Spread the love

બે માસૂમ પુત્રીઓ સાથે કેનાલમાં કૂદનારી મહિલાનો પતિ તેમને બચાવવા કૂદી પડ્યો, ડૂબેલા પતિની શોધખોળ જારી

એસવીએન,કપડવંજ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યો ડૂબ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કૌટુંબિક વિખવાદને કારણે એક પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, તેમને બચાવવા કૂદેલો પતિ પાણીમાં લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ભાવાના મુવાડા ગામની વતની એક મહિલા શુક્રવારે (આઠમી મે) પોતાની બે પુત્રીઓને લઈને ફતિયાવાદ નર્મદા કેનાલના પુલ પર પહોંચી હતી. આ મહિલાએ સૌ પ્રથમ પોતાની બંને પુત્રીઓને કેનાલના ઊંડા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ મોતની છલાંગ લગાવી હતી.

આ આખી ઘટના બની રહી હતી ત્યારે મહિલાનો પતિ પણ ત્યાં દોડી આવ્યો હતો. પોતાની નજર સામે જ પત્ની અને સંતાનોને પાણીમાં ડૂબતા જોઈ તેને બચાવવા માટે પળનો પણ વિચાર કર્યા વિના પતિએ કેનાલમાં પડતું મૂક્યું હતું. જોકે, કેનાલના પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધુ હોવાથી ચારેય સભ્યો ગરકાવ થઈ ગયા હતા.

રેસ્ક્યુ કામગીરી અને મૃતદેહ મળ્યા

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કપડવંજ ફાયર બ્રિગેડ અને આંતરસુબા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ, મહિલા અને બંને પુત્રીઓના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે,પત્ની-બાળકોને બચાવવા કૂદેલો પતિ હજુ પણ પાણીમાં લાપતા છે, જેની શોધખોળ હજુ ચાલુ છે.

પારિવારિક વિખવાદ કારણભૂત?

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પરિવારમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને ઝઘડાને કારણે મહિલાએ આ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *