તમામ યાત્રીઓ પહેલાંથી જ ટ્રેનમાંથી ઊતરી ગયા હતા જેના લીધે મોટી જાનહાનિ ટળી

લખનઉ
ઉત્તરપ્રદેશના મથુરા જંક્શન પર મોડી રાતે એક ભયંકર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. શકૂર બસ્તીથી આવતી એક ઈએમયુ ટ્રેન મથુરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
મથુરા સ્ટેશનના નિર્દેશક એસ.કે. શ્રીવાસ્તવે કહ્યું કે તમામ યાત્રીઓ પહેલાંથી જ ટ્રેનમાંથી ઊતરી ગયા હતા જેના લીધે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જોકે હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે આ ટ્રેન શકુર બસ્તીથી આવે છે. ટ્રેન રાતે 10:49 વાગ્યે પહોંચી હતી. તમામ યાત્રીઓ ટ્રેનથી ઉતરી ગયા હતા. જોકે દુર્ઘટનાના સમયે પ્લેટફોર્મ પર હાજર યાત્રીઓમાં ફફડાટ મચી ગયો હતો.
આ મામલે સ્ટેશનના નિર્દેશકે કહ્યું કે અચાનક જ ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી આવતાં નાસભાગ મચી ગઈ હતી. આ મામલે દુર્ઘટનાના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. અપલાઈનમાં અમુક ટ્રેનોને અસર પણ થઇ હતી. હાલમાં ટ્રેનને પ્લેટફોર્મથી હટાવવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન હટાવ્યાં બાદ અપ લાઈનની ગાડીઓની અવર-જવર ફરી શરૂ થઇ શકશે.
