દિલ્હી શોરુમથી ચોરી કરાયેલા 18 કિલો સોના અને હીરાના દાગીના અને 12.50 લાખ રૂપિયાની કેશ એક શખ્સ પાસેથી જ્યારે બીજા પાસેથી 28 લાખની મત્તા મળી

નવી દિલ્હી
દિલ્હીમાં જ્વેલરી શોરૂમમાં 25 કરોડની ચોરીના મામલે છત્તીસગઢથી ત્રણ બદમાશોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક બદમાશ કુખ્યાત ચોર હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો મુજબ પોલીસે તેમની પાસેથી રિકવરી પણ કરી છે.
ખરેખર તો દિલ્હીના જંગપુરામાં રવિવારે એક જ્વેલર્સ શો રૂમથી 25 કરોડની ચોરી કરવામાં આવી હતી. આ શો રૂમ ઉમરાવ સિંહ અને મહાવીર પ્રસાદ જૈનનો છે. ચોરોએ દુકાનમાં રાખેલી 20થી 25 કરોડ રૂપિયાના હીરા અને સોનાના ઘરેણાની ચોરી કરી હતી. તેઓ દીવાલ કાપીને શોરૂમમાં પ્રવેશ્યા હતા.
છત્તીસગઢ પોલીસે દુર્ગથી 7 ચોરીને અંજામ આપનારા લોકેશ શ્રીવાસની સ્મૃતિનગર પોલીસ સ્ટેશનની હદમાંથી પકડ્યો હતો. તેની પાસેથી દિલ્હી શોરુમથી ચોરી કરાયેલા 18 કિલો સોના અને હીરાના દાગીના અને 12.50 લાખ રૂપિયાની કેશ પણ મળી આવી હતી. પોલીસે લોકેશના બીજા સાથી શિવા ચંદ્રવંશીને કવર્ધાથી જ્વેલરી સહિત 28 લાખની મત્તા સાથે પકડી પાડ્યો હતો. પોલીસ આરોપીઓને દિલ્હી લાવી રહી છે.