હિમાલય પર દબાણથી અનેક ભૂકંપની શક્યતા સર્જાઈ રહી છે, આગામી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આઠથી વધુ હોવાની સંભાવના

નવી દિલ્હી
નેપાળમાં ગઈકાલે રાતે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 132 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં જોવા મળી હતી, ત્યારે હવે વૈજ્ઞાનિકોએ ટુંક સમયમાં જ ફરી વિનાશકારી ભૂકંપ માટેની ચેતવણી આપતા એલર્ટ જાહેર કર્યું છે.
વૈજ્ઞાનિકોએ લોકોને વિનાશકારી ભૂકંપની ચેતવણી આપીને સાવચેત તેમજ તૈયાર રહેવાનું કહ્યું છે. વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના પૂર્વ વૈજ્ઞાનિક અજય પૉલના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર નેપાળના ડોટી જિલ્લામાં હતું. આ વિસ્તાર ગઈકાલે આવેલા ભૂકંપથી પણ પ્રભાવિત થયો હતો. તેમણે દાવો કર્યો હતો કે નેપાળમાં સેન્ટ્રલ બેલ્ટની ઓળખ સક્રિય ઉર્જા પ્રકાશનના ક્ષેત્ર તરીકે કરવામાં આવી છે.
આ પહેલા પણ ઘણા વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી હતી કે હિમાલય વિસ્તારમાં ગમે તે સમયે મોટો ભૂકંપ આવી શકે છે કારણકે ભારતીય ટેક્ટોનિક પ્લેટ ઉત્તર તરફ ખસતી વખતે યુરેશિયમ પ્લેટ સાથે અથડાઈ રહી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે લગભગ 40-50 મિલિયન વર્ષો પહેલા ભારતીય પ્લેટ હિંદ મહાસાગરથી ઉત્તર તરફ આગળ વધીને યુરેશિયન પ્લેટ સાથે અથડાતા હિમાલયનું નિર્માણ થયુ હતું.
હિમાલય પર દબાણના કારણે અનેક ભૂકંપ આવવાની શક્યતો સર્જાઈ રહી છે તેમ નિષ્ણાંતોનું કહેવું છે. તેમનો અનુમાન છે કે આગામી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આઠથી વધુ હોવાની સંભાવના છે. જો કે હજુ સુધી આટલો મોટો ભૂકંપ ક્યારે આવશે તે અંગે સચોટ આગાહી કરવામાં આવી નથી.