ગાઝામાં માનવીય કોરીડોર સ્થાપવાની હોન્ડારૂસની માગ

ઈઝરાયેલ
ગાઝામાં હમાસ સામેના યુદ્ધમાં હવે ઈઝરાયલની મુશ્કેલી વધતી જઈ રહી છે. એક પછી એક અનેક દેશો ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધોનો અંત લાવી રહ્યા છે. હવે આ યાદીમાં વધુ એક દેશ ઉમેરાયું છે. જેનું નામ છે હોન્ડુરાસ. અહીંના વિદેશમંત્રી એનરિક રીનાએ કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનના નાગરિકોની વસતીની ગંભીર સ્થિતિને જોતાં રાષ્ટ્રપતિ શિયોમારા કાસ્ત્રોએ અમારા રાજદૂત રોબર્ટો માર્ટિનેઝને તાત્કાલિક ધોરણે ઈઝરાયલ છોડી દેવા આદેશ કર્યો છે.
હોન્ડુરાસ ઈચ્છે છે કે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવે અને સહાયની સપ્લાય તથા શાંતિ મંત્રણા શરૂ કરવા માટે એક માનવીય કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે કહ્યું કે ગાઝાની સ્થિતિના આધારે જ હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ ગઈકાલે બહેરીન સરકારે જાહેરાત કરી હતી કે તેણે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખી ઈઝરાયલ સાથેના સંબંધોનો અંત લાવી દીધો છે. સાથે જ ઈઝરાયલથી તેમના રાજદૂતોને પરત પણ બોલાવી લીધા છે. અહેવાલ અનુસાર ઈઝરાયલ અને બહેરીને 2020માં અમેરિકાના કહેવા પર અબ્રાહ્મ સમજૂતી હેઠળ સંબંધો સામાન્ય કરી લીધા હતા. ઈઝરાયલ અને બહેરીન વચ્ચે સંબંધો સામાન્ય છે. અગાઉ બોલિવિયા, જોર્ડન, ચિલી અને કોલંબિયાએ તેમના રાજદૂતોને પાછા બોલાવી લીધા હતા.
એક નિવેદન જાહેર કરીને અરબ રાષ્ટ્રની પ્રતિનિધિ કાઉન્સિલે કહ્યું કે પેલેસ્ટાઈનના મુદ્દા અને અને પેલેસ્ટાઈનના અધિકારો માટે બહેરીન તેના સમર્થનની પુષ્ટી કરે છે. જોકે ઈઝરાયલે ભારપૂર્વક કહ્યું કે એવો કોઇ નિર્ણય નથી લેવાયો અને બંને દેશો વચ્ચે સંબંધ સ્થિર બનેલા છે.