કેનેડા ભારત સાથે ઝઘડો નથી ઈચ્છતુઃ જસ્ટિન ટ્રૂડો

Spread the love

ભારતે કેનેડાના 40 ડિપ્લોમેટ્સને હટાવી અને જો તેઓ દેશ ના છોડે તેમને મળતી સુરક્ષા પાછી ખેંચી લેવાની ધમકી આપીને વિયેના કન્વેશનનું ઉલ્લંઘન કર્યાનો આક્ષેપ

ટોરેન્ટો

ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને શરૂ થયેલો વિવાદ હજી શાંત નથી થયો. હાલમાં જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર આ મુદ્દે વાત કરી છે. તેમણે કહ્યું કે, કેનેડા ભારત સાથે ઝઘડો નથી ઈચ્છતું પરંતુ આ ગંભીર મુદ્દે ઉપયોગી રીતે કામ કરવા માગે છે. ટ્રુડોએ આરોપ મૂક્યો કે, ભારતે કેનેડાના 40 ડિપ્લોમેટ્સને હટાવી અને જો તેઓ દેશ ના છોડે તેમને મળતી સુરક્ષા પાછી ખેંચી લેવાની ધમકી આપીને વિયેના કન્વેશનનું ઉલ્લંઘન કર્યું છે.

કેનેડા અને ભારત વચ્ચે છેલ્લા બે મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. એવામાં આ મુદ્દે કેનેડાના વડાપ્રધાન તરફથી વધુ એક નિવેદન આવ્યું છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, કેનેડા હાલના તબક્કે ભારત સાથે કોઈ ઝઘડો કરવા નથી માગતું. જોકે, પોતાના આક્ષેપો પરથી તેમણે પીછેહઠ નથી કરી. ટ્રુડોનું કહેવું છે કે, આ ગંભીર મુદ્દે કેનેડા ભારત સાથે મળીને તેનો રચનાત્મક ઉકેલ લાવવા માગે છે. શુક્રવારે મીડિયા સાથે વાત કરતાં જસ્ટિન ટ્રુડોએ ભારત પર વિયેના કન્વેન્શનનો ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો હતો. બંને દેશો વચ્ચે થયેલા વિવાદને પગલે ભારતે કેનેડાને પોતાના 40 ડિપ્લોમેટ્સ હટાવી લેવાની સૂચના આપી હતી અને જો તેઓ આમ ના કરે તો તેમને મળતી સુરક્ષા પાછી ખેંચવાની વાત કરી હતી. કેનેડાએ ભારતના આ વલણને વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

2020માં ભારતે આતંકી જાહેર કરેલા હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં 18 જૂનના રોજ હત્યા થઈ હતી. ખાલીસ્તાની ઉગ્રવાદી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ્સનો હાથ હોવાનો આક્ષેપ જસ્ટિન ટ્રુડોએ કર્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ભારતે ટ્રુડોના આક્ષેપોને પાયાવિહોણા અને મૂર્ખામીભર્યા ગણાવ્યા હતા.
હવે જસ્ટિન ટ્રુડોએ આપેલા તાજા નિવેદનમાં કહ્યું કે, આ મુદ્દાના મૂળ સુધી જવા માટે તેમની સરકારે ભારતનો સંપર્ક કર્યો હતો. “કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં ભારતીય એજન્ટ્સનો હાથ હોવાના વિશ્વસનીય આરોપો અમે મૂક્યા ત્યારથી જ અમે આ મુદ્દે ભારત સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત આ મુદ્દાના મૂળ સુધી જવામાં સહકાર આપવાનું કહ્યું હતું”, તેમ મીડિયા સાથે વાત કરતાં જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું.
કેનેડાએ પોતાના મિત્રો અને અમેરિકા સહિતના સાથી દેશોને આ ગંભીર મુદ્દામાં સાથે મળીને કામ કરવાની વિનંતી કરી હતી. ભારતે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો છે અને લોકશાહીની મર્યાદાને નુકસાન પહોંચાડ્યું છે. આ મુદ્દો એવો છે જેને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ તેમ ટ્રુડોએ ઉમેર્યું હતું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *