હજયાત્રીઓ માટે હજ ગ્રૂપ ઓર્ગેનાઈઝર્સના ક્વોટા અને નોંધણી પ્રમાણપત્રો કેન્દ્ર સરકારે ગયા મહિને સસ્પેન્ડ કરી દીધા હતા
નવી દિલ્હી
દિલ્હી હાઈકોર્ટે હજ ગ્રૂપના ઘણા આયોજકોના ક્વોટા અને નોંધણી પ્રમાણપત્રોના સસ્પેન્શન પર સ્ટે આપતાં કહ્યું કે હજ માત્ર મુસ્લિમો માટે રજાઓ કે વેકેશન નથી, પરંતુ તેમના ધર્મ અને માન્યતાનું પાલન કરવાનું એક માધ્યમ છે, જે તેમનો મૂળભૂત અધિકાર છે. હજયાત્રીઓ માટે ટૂર ઓપરેટર તરીકે કામ કરતાં હજ ગ્રૂપ ઓર્ગેનાઈઝર્સ (એચજીઓ) ના ક્વોટા અને નોંધણી પ્રમાણપત્રો કેન્દ્ર સરકારે ગયા મહિને સસ્પેન્ડ કરી દીધા હતા.
જસ્ટિસ ચંદ્રધારી સિંહની વેકેશન બેન્ચે આવા 13 થી વધુ એચજીઓની અરજીઓ પર સુનાવણી કરી હતી. બુધવારે પોતાના આદેશમાં બેન્ચે કહ્યું કે, હજયાત્રા અને તેને લગતા સમારોહ એક ધાર્મિક પ્રથાના દાયરામાં આવે છે, જે ભારતના બંધારણમાં સંરક્ષિત છે અને કોર્ટ તે અધિકારની રક્ષક છે. ખંડપીઠે 25 મેના રોજ બહાર પાડવામાં આવેલી હજ-2023 માટે હજ ક્વોટાની ફાળવણીની સંકલિત યાદીમાં નોંધણી પ્રમાણપત્ર અને ક્વોટા અંગે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા અવલોકનો પર કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી રોક લગાવી દીધી હતી. ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે સત્તાવાળાઓ અરજદારોને તેમની કથિત ક્ષતિ માટે આપવામાં આવેલી કારણ બતાવો નોટિસના અનુસંધાનમાં તપાસ આગળ વધારી શકે છે.
બેન્ચે જણાવ્યું હતું કે આ તે હજ યાત્રીઓથી સંબંધિત છે જેઓ હજ કરવા માગે છે અને મક્કાની યાત્રા માટે અરજદારોને એડવાન્સ ચૂકવણી કરી છે. કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે ટૂર ઓપરેટરોની કથિત ભૂલોને કારણે આ મુસાફરોને મુશ્કેલી ન પડે અને તેઓ કોઈપણ અવરોધ વિના મુસાફરી કરી શકે.
બીજી બાજુ કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે કોઈપણ નિયમો અને શરતોનું પાલન ન કરવાના કિસ્સામાં તેને એચજીઓ ની નોંધણી સ્થગિત અથવા રદ કરવાનો અધિકાર છે. તે આ બિન-અનુપાલન એચજીઓના હાથમાં યાત્રાળુઓનું ભાવિ જોખમમાં મૂકવા તૈયાર નથી. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે અરજદારોને હજયાત્રીઓને સાઉદી અરેબિયાના રાજ્યમાં લઈ જવાની મંજૂરી આપવી એ કાયદાના ગંભીર ઉલ્લંઘનના ખુલાસા પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય કરારની ભાવનામાં રહેશે નહીં. કરાર હેઠળ ફક્ત રજિસ્ટર્ડ અને વેરિફાઈડ એચજીઓ ને જ મંજૂરી છે.
હજ રજા કે વેકેશન નથી, ધર્મનું પાલન કરવાનું માધ્યમ છેઃ કોર્ટ
Total Visiters :173 Total: 1497016