શ્રીનગરની શાળામાં અબાયા પહેરવાની મનાઈ કરનારા આચાર્યએ માફી માગી

Spread the love

પ્રિન્સિપાલે શાળામાં કથિત ડ્રેસ કોડને લઈને આતંકવાદી જૂથ દ્વારા ધમકી આપ્યા બાદ માફી માગી
હેડિંગઃ
શ્રીનગર
શ્રીનગરની એક શાળાના પ્રિન્સિપાલે શાળામાં કથિત ડ્રેસ કોડને લઈને આતંકવાદી જૂથ દ્વારા ધમકી આપ્યા બાદ માફી માંગી છે. વિશ્વ ભારતી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલે શાળાની અંદર કેટલીક વિદ્યાર્થીનીઓને અબાયા (મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતો લૂઝ અને પૂર્ણ લંબાઈ ધરાવતો બુરખા જેવો ડ્રેસ) પહેરવાની મનાઈ ફરમાવી હતી. જે બાદ કેટલીક વિદ્યાર્થીનીઓએ શાળા દ્વારા ડ્રેસ કોડ લાદવામાં આવ્યો હોવાનો આરોપ લગાવીને વિરોધ કર્યો હતો. તેમણે પ્રિન્સિપાલ પર ડ્રેસ કોડ લાદવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તે આ તો અમારી પસંદગીની વિરુદ્ધ છે કે અમે અમારી ધાર્મિક પ્રથાઓ અનુસાર શું પહેરવા માગીએ છીએ અને શું નહીં.
વિરોધ કરી રહેલી એક વિદ્યાર્થીનીએ પ્રિન્સિપાલ પર આરોપ લગાવ્યો કે અમને કહેવામાં આવ્યું કે જો અમારે અબાયા પહેરવા હોય તો મદરેસામાં જવું જોઈએ. અમને શાળામાં પ્રવેશવા નહીં અપાય. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે સ્કૂલ મેનેજમેન્ટે તેમને કહ્યું કે તેઓ અબાયા પહેરીને શાળાનું વાતાવરણ બગાડી રહી છે.
વિવાદ વધ્યા પછી, શાળાના પ્રિન્સિપાલ મેમરોઝ શફીએ કહ્યું હતું કે વિદ્યાર્થિનીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ઘરેથી શાળા સુધી ‘અબાયા’ પહેરી શકે છે પરંતુ તેઓએ શાળાના પરિસરમાં તેને ઉતારી દેવું પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે અમે તેમને લાંબો સફેદ રંગનો હિજાબ પહેરવા અથવા મોટો સ્કાર્ફ રાખવા કહ્યું છે કારણ કે તે શાળાના યુનિફોર્મનો એક ભાગ છે. તેઓ વિવિધ ડિઝાઇનવાળા રંગબેરંગી અબાયા પહેરીને આવ્યા હતા જે શાળાના ગણવેશનો ભાગ નથી.
આચાર્યની સ્પષ્ટતા બાદ પણ વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો ન હતો. થોડા સમય પછી, એક આતંકવાદી જૂથે પ્રિન્સિપાલને જમણેરી વિચારધારાવાળા હોવાનો આક્ષેપ કરીને તેમને નિશાન બનાવવાની ધમકી આપતું નિવેદન બહાર પાડ્યું. જે બાદ પ્રિન્સિપાલે એક નિવેદન જારી કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી હતી.તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથેની આજની વાતચીતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. કોઈ પણ સંજોગોમાં, જો તેનાથી વિદ્યાર્થીઓ અથવા વાલીઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેના માટે બિનશરતી માફી માંગુ છું. તેમણે કહ્યું કે વિદ્યાર્થીનીઓ અબાયા પહેરી શકે છે અને વર્ગોમાં કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી.
પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ તેને બંધારણમાં આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો હતો. મુફ્તીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ગાંધીજીના ભારતને ગોડસેના ભારતમાં બદલવાના ભાજપના કાવતરાની પ્રયોગશાળા બની ગયું છે. બધા પ્રયોગો અહીંથી શરૂ થાય છે. તે કર્ણાટકથી શરૂ થઈને કાશ્મીર સુધી પહોંચ્યું. આ અમને સ્વીકાર્ય નથી. તેના પર ગંભીર પ્રતિક્રિયા મળશે કારણ કે કપડાં પહેરવા એ વ્યક્તિગત પસંદગી છે. કોઈ મજબૂરી ન હોવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *