મોદીના નેતૃત્વમાં પહેલીવાર જનતા-જનાર્દનને સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી છેઃ બાલકનાથ

નવી દિલ્હી
બાબા બાલકનાથ અલવર લોકસભા મતવિસ્તારમાંથી 2019માં ભાજપે ટિકિટ આપતા સાંસદ તરીકે ચૂંટાયા હતા જો કે પાર્ટીએ તેમને આ વખતે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં તિજારા બેઠક પરથી ટિકિટ આપી હતી જેમાં તેનો વિજય થયો હતો ત્યારે તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ હતું. તેમના રાજીનામાં બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે પાર્ટી તેમને રાજ્યની કમાન સોંપી શકે છે. સોશિયલ મીડિયામાં પણ તેમને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી રહી છે ત્યારે બાબા બાલકનાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે જેમાં તેમણે સીએમની રેસને લઈને ચાલી રહેલી ચર્ચાઓને ફગાવી દીધી છે.
ત્રીજી ડિસેમ્બરે રાજસ્થાન સહિત ચાર રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પરિણામ જાહેર થયા હતા જેમાં ભાજપે ત્રણ રાજ્યો પર કબજો કર્યો હતો જેમાં રાજસ્થાનનો સમાવેશ થાય છે. રાજસ્થાનની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો ત્યારથી જ મુખ્યમંત્રીના નામને લઈને અનેક તર્ક-વિતર્ક તેમજ ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ બાબા કમલનાથનો ચૂંટણીમાં વિજય થતાં તેમણે લોકસભાના સાંસદ તરીકે રાજીનામું આપી દીધુ હતું અને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે તેમના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે ત્યારે હવે તેમને જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને આ અટકળો પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો છે.
બાબા બાલકનાથે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલીવાર જનતા-જનાર્દનને સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી છે. ચૂંટણી પરિણામો આવ્યા પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણો. મારે હજુ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવ મેળવવો છે. ઉલ્લેખનીય છે કે બાબા બાલકનાથ 2019માં ભાજપની ટિકિટ પર અલવર લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે પાર્ટીએ તેમને જિલ્લાની તિજારા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી જેમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનને હરાવીને વિધાનસભાની ચૂંટણી પણ જીતી હતી. આ પછી તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
