રાજસ્થાનમાં ભજનલાલ શર્માને ભાજપે મુખ્યમંત્રી બનાવ્યા

Spread the love

દીયા સિંહ અને પ્રેમ ચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી, વાસુદેવ દેવનાનીને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા


જયપુર
છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપે મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાને તક આપી ફરી સૌને ચોંકાવ્યા છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા છે. આ સાથે જ ત્રણે રાજ્યોમાં મુખ્યમંત્રી જાહેર કરવાની સસ્પેન્સનનો અંત થયો છે. ભાજપે રાજસ્થાનમાં પણ નાયબ મુખ્યમંત્રી તરીકે બે નામની જાહેરાત કરી છે, જેમાં દીયા સિંહ અને પ્રેમ ચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. જ્યારે વાસુદેવ દેવનાનીને વિધાનસભા અધ્યક્ષ બનાવાયા છે. બ્રાહ્મણ જ્ઞાતિના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા સાંગાનેર બેઠક પરના ધારાસભ્ય છે, અને તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી, જેમાં ભજન લાલ શર્માના નામ પર મહોર મારી દેવાઈ છે.
રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીની નામની જાહેરાત કરવાની સાથે બે નાયબ મુખ્યમંત્રીના નામની પણ જાહેર કરી દેવાઈ છે. દીયા સિંહ અને પ્રેમ ચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. ભજનલાલ શર્માએ કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48081 મતોથી હરાવ્યા હતા. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે આ ઉપરાંત તેઓ 4 વખત પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે. તેઓ આરએસએસ અને એબીવીપી સાથે સંકળાયેલા છે.
ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્મા લાંબા સમયથી ભાજપ માટે કામ કરી રહ્યા છે અને તેઓ પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત છે. ભાજપે તેમને પહેલીવાર જયપુરના સાંગાનેર જેવી સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડાવ્યા અને જીત્યા હતા. તેઓ પહેલીવાર જ વિધાનસભાની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા છે. વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં ભાજપની જીત સૌથી મોટો પડકાર એ હતો કે, સીએમ તરીકે કોને પસંદ કરવામાં આવે પરંતુ હવે આ વાતનો અંત આવ્યો છે. રાજસ્થાનના સીએમની રેસમાં ઘણા નામો ચાલી રહ્યા હતા. આ યાદીમાં પહેલું નામ વસુંધરા રાજેનું હતું. તે રાજસ્થાનની કમાન સંભાળી ચૂકી છે. આ સિવાય રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બનેલા બાબા બાલકનાથનું નામ પણ ચર્ચામાં હતું. ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી, દિયા કુમારી અને રાજવર્ધન રાઠોડ જેવા નામો પણ રેસમાં હતા. આ બધા વચ્ચે ભાજપ હાઈકમાન્ડે ભજનલાલ શર્માની પસંદગી કરીને સૌને ચોકાવી દીધા છે.
રાજસ્થાનમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. કેન્દ્રએ રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા હતા. આ ત્રણેય નેતાઓએ મુખ્યમંત્રીના નામનું સુચન કર્યું હતું જે ભાજપ હાઈકમાન્ડની મંજૂરી બાદ સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતું. આ પહેલા ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બધાને ચોંકાવી દીધા હતા. મધ્યપ્રદેશમાં મોટા ચહેરાઓને બાયપાસ કરીને મોહન યાદવને કમાન સોંપવામાં આવી હતી, જ્યારે છત્તીસગઢની બાગડોર વિષ્ણુદેવ સાંઈને સોંપવામાં આવી હતી.
રાજસ્થાનની કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે 51 હજારથી વધુ મતદાન મથકો પર 25 નવેમ્બરે મતદાન થયું હતું અને 3 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાજપને 115 અને કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કર્યા વગર જ ચૂંટણી લડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *