વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લોકતંત્ર, બંધારણ અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે કોઈ પ્રેમ નથી, વડાપ્રધાન બોલે છે કંઈક અને કરે છે કંઈક

મુંબઈ
ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (યુબીટી) એ તેના મુખપત્ર સામનામાં એક લેખ દ્વારા સંસદમાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમાં લખ્યું છે કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લોકતંત્ર, બંધારણ અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે કોઈ પ્રેમ નથી. વડાપ્રધાન બોલે છે કંઈક અને કરે છે કંઈક.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ તેમનો આત્મવિશ્વાસ છે અને તેઓ એવું માને છે કે લોકો મુર્ખ છે અને અમે તેમને સરળતાથી મુર્ખ બનાવી શકીએ છીએ જે ખરેખર મુર્ખ નથી. સામનામાં કહેવાયું છે કે ભાજપની સંસદીય બેઠકમાં મોદીએ તેમના સાંસદોને જ્ઞાન આપ્યું.
સામનામાં લખાયું છે કે સંસદમાં ઘૂસણખોરી કેમ અને કેવી રીતે થઈ? આ ઘટના પાછળ જવાબદાર કોણ છે? આ સવાલ જો વિપક્ષી દળો ગૃહમાં પૂછી પણ લીધો તો શું ગુનો કર્યો? ગૃહમંત્રીએ આ મુદ્દે બહાર ભાષણબાજી કરવાની જગ્યાએ સંસદમાં બોલવાની જરૂર છે. સંસદનું સત્ર ચાલે છે અને વડાપ્રધાન, ગૃહમંત્રી ઘૂસણખોરીને લઈને ખુલાસા કરવા ફરી રહ્યા છે. સવાલ ઊઠાવનારા 143 સાંસદોને તો સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. ખરેખર તો પીએમ મોદી ફરી વિપક્ષ પર આરોપ મૂકી લોકતંત્રની મિમિક્રી કરી રહ્યા છે.
શિવસેનાએ આગળ લખ્યું છે કે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન ભવ્ય શ્રીરામ મંદિરનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે પણ તેમણે લોકતંત્રના મંદિરને જ શ્મશાન ઘાટમાં ફેરવી નાખ્યું. તેના પર શું કહેશો? શું તેમને રામમંદિરનું ઉદઘાટન કરવાનો અધિકાર છે? મોદી કહે છે કે વિધાનસભા ચૂંટણી હારવાને કારણે વિપક્ષ હતાશ છે પણ એવું કંઈ જ નથી. સામનામાં શિવસેનાએ આરોપ મૂક્યો કે 3 રાજ્યોમાં ભાજપના વિજય પાછળ ઇવીએમ જ જવાબદાર છે. ભાજપના નેતાઓ પર વિજનો નશો અને ઉન્માદ ચઢી ગયો છે. આ ઉન્માદમાં તે સંસદના નિયમ અને બંધારણને આગ ચાંપી તેને શ્મશાન બનાવી રહ્યા છે.
