વિશ્વભરમાં કોરોનાના કારણે ચાર અઠવાડિયામાં 3,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા, ચાર અઠવાડિયામાં મૃત્યુમાં પણ 8%નો વધારો નોંધાયો

નવી દિલ્હી
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે. કોરોનાએ ફરી એક વખત વિશ્વને ડરાવવાનું શરૂ કરી દીધુ છે. વિશ્વભરમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના 8.5 લાખ નવા કેસ નોંધાયા છે. ડબલ્યુએચઓએ જણાવ્યું કે, છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાના 52% કેસ વધ્યા છે. ડબલ્યુએચઓએ જણાવ્યું કે, વિશ્વભરમાં કોરોનાના કારણે ચાર અઠવાડિયામાં 3,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 28 દિવસની તુલનામાં આ ચાર અઠવાડિયામાં મૃત્યુમાં પણ 8%નો વધારો નોંધાયો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં 77 કરોડથી વધુ કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે.
ડબલ્યુએચઓએ જણાવ્યું કે છેલ્લા 28 દિવસમાં વિશ્વભરમાં 118000 લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યારે 1600 લોકો આઈસીયુમાં છે. છેલ્લા દિવસોની તુલનામાં હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં 23%નો વધારો થયો છે. ડબલ્યુએચઓએ જણાવ્યું કે ઓમિક્રોનનો વેરિએન્ટ જેએન.1ના કારણે કોરોનાના કેસોમાં વધારો થયો છે. તે ખૂબ જ સંક્રામક હોય છે.
કોરોનાનો નવો વેરિએન્ટ જેએન.1 ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે જેના કારણે એ સવાલ થઈ રહ્યો છે કે, શું જૂની વેક્સિન તેનાથી સુરક્ષા કરી શકશે અને તે જેએન.1 પર અસરકારક છે? આ મુદ્દે ડબલ્યુએચઓએ જણાવ્યું કે, વર્તમાન વેક્સિન જેએન.1 અને સાર્સ કોવ-2 દ્વારા થતી ગંભીર બીમારી અને મેતથી સુરક્ષા કરવામાં સક્ષમ છે. ડબલ્યુએચઓએ કહ્યું કે, તે સતત જેએન.1 વેરિએન્ટ પર નજર રાખી રહ્યું છે.
ડબલ્યુએચઓએ લોકોને વેક્સિન લેવા, માસ્ક પહેરવા અને સુરક્ષિત અંતર જાળવવા જેવા નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે જેથી કોરોના સંક્રમણથી બચી શકાય. ડબલ્યુએચઓએ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવા પર ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા છે. 21 મે પછી એક દિવસમાં આ સૌથી વધુ કેસ છે. બીજી તરફ એક્ટિવ કેસ પણ વધીને 3,420 થઈ ગયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4 લોકોના મોત થયા છે. જીવ ગુમાવનાર લોકોમાંથી 2 કેરળ, 1-1 રાજસ્થાન અને કર્ણાટકથી છે.
