ભારતની પ્લેઈંગ ઈલેવન માટે સરફરાઝ ખાન, દેવદત્ત પડિક્કલ, કે એસ ભરત, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલમાંથી ત્રણ ખેલાડીને સ્થાન મળી શકે છે

રાજકોટ
રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થશે. ત્યારે ક્રિકેટ ચાહકોના મનમા પ્રશ્ન થતો હશે કે પ્લેઈંગ ઈલેવનમાં કોણ હશે અને ક્યા ખેલાડીને તક મળશે. રાજકોટ ટેસ્ટમાં ત્રણ નવા ખેલાડીઓને તક મળી શકે છે જો કે આ ત્રણ જગ્યા માટે છ ખેલાડીઓ દાવેદારી નોંધાવી રહ્યા છે. આ ઉપરાંત એવી પણ શક્યતા છે કે ગુજરાતી પ્લેયરની ટીમમાં વાપસી થઈ શકે છે. આવતીકાલે જ્યારે રોહિત શર્મા મેચ પહેલા સવારે ટોસ ઉછાળવા આવશે ત્યારે જ અંતિમ નિર્ણય લેવાશે.
રાજકોટ ટેસ્ટ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન માટે કોકડું ગુચવાયું છે, કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આવતીકાલે ટીમમાં ક્યા પ્લેયરને સ્થાન આપશે ચાહકો તે જાણવા માંગે છે. કેટલીક ટીમો ટેસ્ટના એક દિવસ પહેલા પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરે છે, પરંતુ ભારતીય ટીમ દ્વારા અત્યાર સુધી આવું કરવામાં આવ્યું નથી. પ્લેઈંગ ઈલેવનમાં કોને તક મળી તેનો ખ્યાલ આવતીકાલે જ આવશે. ભારતની પ્લેઈંગ ઈલેવન માટે સરફરાઝ ખાન, દેવદત્ત પડિક્કલ, કે એસ ભરત, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલમાંથી ત્રણ ખેલાડીને સ્થાન મળી શકે છે.
શ્રેયસ ઐય્યરે પ્રથમ બે મેચ રમી હતી, પરંતુ હવે તે બાકીની મેચોમાંથી બહાર છે. સરફરાઝ ખાનને પહેલા જ ટીમમાં જગ્યા મળી ગઈ હતી, ત્યારબાદ હવે દેવદત્ત પડિક્કલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની ગેરહાજરીને કારણે આ બેમાંથી એકને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. સરફરાઝ લાંબા સમયથી ટીમ સાથે છે અને તે પરિસ્થિતિને સારી રીતે જાણે છે, તેથી તેને તક મળવાની સંભાવનાઓ વધારે છે. આવી સ્થિતિમાં દેવદત્ત પડિક્કલને ટેસ્ટ ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે છે. આ ઉપરાંત રિષભ પંતની ગેરહાજરીમાં ભરતને તક આપવામાં આવી હતી. પણ ભરત અત્યાર સુધી ફિફ્ટી પણ ફટકારી શક્યો નથી અને તેનું પ્રદર્શન સારુ રહ્યું નથી, આ કારણે હવે કેપ્ટન અને કોચ ધ્રુવ જુરેલને તક આપવા અંગે વિચારી શકે છે.
રાજકોટ ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન ચોક્કસપણે રમશે. આ ઉપરાંત જો રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ રીતે ફિટ હશે તો તે પણ રમશે. આ સિવાય કુલદીપ અને અક્ષરમાંથી કોઈ એકને ત્રીજા સ્પિનર તરીકે પસંદ કરવો પડશે. જો જાડેજા ફિટ નહીં હોય તો અક્ષર અને કુલદીપ બંનેને તક મળી શકે છે. જોકે તેની શક્યતા ઓછી જણાય છે. અક્ષર પટેલ રાજકોટની પીચથી વધારે પરીચિત છે તેની સંભાવના વધુ છે જો કે કેપ્ટન અને કોચ કોણે તક આપશે તે જોવાનું રહેશે.
