ઇશિકાવા પ્રિફેકચરમાં ભુકંપગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને ૭૫૬૬૧ થઇ

ટોકયો
જાપાનના મધ્યભાગમાં નોતો પ્રાયદ્વીપમાં ૧ જાન્યુઆરીના રોજ એક શકિતશાળી ભૂંકપ આવ્યો હતો. હચમચાવી દે તેવા આ ભૂકંપને ૨ મહિના જેટલો સમય પસાર થયો હોવા છતાં ૧૦૦૦૦ થી વધુ લોકો શરણ સ્થળોએ આશ્રય લેવા મજબૂર છે. જાપાની મીડિયાના જણાવ્યા અનુસાર ઇશિકાવા પ્રિફેકચરમાં ભુકંપગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને ૭૫૬૬૧ થઇ છે. આ ભૂકંપ પ્રભાવિત પ્રીફેકચરમાં કાટમાળ દૂર કરીને, પાણી પુરવઠો તથા અસ્થાયી આવાસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જો કે મુખ્ય તો નોતો ક્ષેત્રમાં અંદાજે ૨૧૮૮૦ મકાનો તથા કારખાનાઓ વગેરેમાં હજુ પણ પાણી વિતરણનો જથ્થો પહોંચતો નથી.
ભુકંપ પ્રભાવિત લોકોને સતત મદદ આપતા રહેવું એક પડકાર બની ગયો છે. ગત રવીવારે યુનિવર્સિટીના સ્ટુડન્ટસના એક સ્વયંસેવી સમૂહે સુઝુ શહેર નજીક આવેલા એક આશ્રય સ્થળની મુલાકાત લીધી હતી. અહીંયા તેમણે લોકો સાથે સમય વિતાવ્યો અને કેટલીક સુવિધાઓ આપવા પ્રયાસ કર્યો હતો. કેટલાક આશ્રય સ્થળો એવા પણ છે જયાં ભૂકંપ પીડિતોને પુરતી સહાય મળતી નથી. વાજિમા શહેરની એક શિબિરમાં રોજ ૧૪૦ લોકોનું બે ટંકનું ભોજન માંડ તૈયાર થાય છે. તેના માટે તેઓ ઇશિકાલા અને અન્ય ક્ષેત્રોમાંના રેસ્ટોરન્ટ અને આસપાસના સહાયતા કેન્દ્રો પર નિર્ભર છે.
