હડતાળનું એલાન કરનારાને ગુવાહટી પોલીસે નોટિસ પાઠવી

Spread the love

હડતાળ દરમિયાન કોઈપણ પ્રકારની તોડફોડ અથવા કોઈ નુકસાન થશે તો રાજકીય પક્ષો દ્વારા તેની ભરપાઈ કરવી પડશે

ગુવાહાટી

સમગ્ર દેશમાં સીએએ એટલે કે નાગરિક સુધારા કાયદો 2019નો અમલ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે સીએએના અમલની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે હવેથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના બિનમુસ્લિમ નાગરિકો જેમ કે હિન્દુઓ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ વગેરેને ભારતની નાગરિકતા સરળતાથી મળી રહેશે. જો કે સીએએના અમલની જાહેરાત થતા જ વિરોધ ચાલુ થઈ ગયો છે અને આસામમાં અનેક રાજકીય પક્ષોએ પણ હડતાળનું એલાન કર્યું છે ત્યારે ગુવાહાટી પોલીસે રાજકીય પક્ષોને કાનૂની નોટિસ મોકલી છે.

આસામમાં ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (એએએસયુ) અને 30 સ્વદેશી સંગઠનોએ સોમવારે ગુવાહાટી, બરપેટા, લખીમપુર, નલબારી, ડિબ્રુગઢ અને તેજપુર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં સીએએ કાયદાની નકલો સળગાવી હતી. આ ઉપરાંત, આસામમાં 16 પક્ષોના સંયુક્ત વિરોધ (યુઓએફએ)એ તબક્કાવાર આંદોલનના ભાગરૂપે આજે રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. જો કે ગુવાહાટી પોલીસે રાજકીય પક્ષોને કાનૂની નોટિસ મોકલી છે. ગુવાહાટી પોલીસે રાજકીય પક્ષોને કાનૂની નોટિસ મોકલીને સ્પષ્ટપણે કહ્યું છે કે જો હડતાળ દરમિયાન કોઈપણ પ્રકારની તોડફોડ અથવા કોઈ નુકસાન થશે તો તેની રાજકીય પક્ષો દ્વારા ભરપાઈ કરવામાં આવશે. 

ગૃહ મંત્રાલયે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારત ક્યા વર્ષમાં આવ્યા હતા તેની માહિતી આપવી પડશે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં. કાયદા અનુસાર, ત્રણ પડોશી દેશોના બિનદસ્તાવેજીકૃત લઘુમતીઓને સીએએ હેઠળ લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *