વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પ

Spread the love

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિ, બિમાર પડ્યા પછી નહીં, પરંતુ રોગના આગોતરા નિદાન માટે હેલ્થ ચેકઅપ જરૂરી: અધ્યક્ષ શંકર ચૌધરી, જનપ્રતિનિધિઓ અને પત્રકારોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે:- આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સતત લોકસેવા અને અવિરત કામગીરીમાં વ્યસ્ત રહેતા ધારાસભ્યો અને પત્રકારોના સ્વાસ્થ્યની જાળવણી કરવાનો છે. સમાજમાં આ બંને વર્ગોની ભૂમિકા અત્યંત મહત્વની છે, તેથી બિમાર થયા પછી સારવાર લેવા કરતા રોગનું વહેલું નિદાન થાય તે અનિવાર્ય છે.

વધુમાં વિધાનસભાના અધ્યક્ષે ઉમેર્યું હતું કે, પત્રકાર મિત્રો ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય તડકો, વરસાદ, ઠંડી કે કુદરતી આફતોમાં પોતાના જીવના જોખમે પણ રિપોર્ટિંગની કામગીરી બજાવતા હોય છે. ઘણીવાર તેજ ગતિએ બદલાતી ઘટનાઓ અને કામના ભારણને કારણે તેઓ પોતાના સ્વાસ્થ્ય અને નિયમિત બોડી ચેકઅપ પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી. તેવી જ રીતે, ધારાસભ્યો પણ પ્રજાના પ્રશ્નો, વિધાનસભાનું કામકાજ, વિકાસકાર્યો અને સામાજિક જવાબદારીઓ વચ્ચે સતત કાર્યરત રહેતા હોય છે. આ અનિશ્ચિતતા અને સ્ટ્રેસ વચ્ચે તેમનું સ્વાસ્થ્ય જળવાય તે અત્યંત જરૂરી છે. તેના માટે આજે વિધાનસભા ખાતે એક દિવસીય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષશ્રીએ આ કાર્યમાં જોડાયેલા તમામ ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફની કામગીરીને બિરદાવી તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ અને પત્રકારો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બને તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણીવાર ધારાસભ્યો અને પત્રકારોની વ્યસ્ત દિનચર્યાને કારણે શરીરમાં નાની-નાની તકલીફો વકરતી હોય છે. આવા હેલ્થ કેમ્પના માધ્યમથી વહેલી તકે રોગનું નિદાન થવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે. મેં અગાઉ ધારાસભ્ય તરીકે અને આજે મંત્રી તરીકે પણ આ કેમ્પનો લાભ લીધો છે.

આ પ્રસંગે ગાંધીનગર પ્રેસ એક્રેડિટેડ પ્રેસ ક્લબના પ્રમુખ કિશોર અંજારીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૫ વર્ષથી અમે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ દ્વારા જનજાગૃતિનું કાર્ય કરીએ છીએ. આ ઉપરાંત, આગામી સમયમાં પણ અમે આવા લોકજાગૃતિના કાર્યો કરતા રહીશું.

આ મેડિકલ કેમ્પમાં બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ, ઇસીજી જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. તેમજ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉકટરો દ્વારા રિપોર્ટ કરાશે. જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાશે તો તે માટે GMERS, મેડિકલ કૉલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે.

તદ્ઉપરાંત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ માંથી હ્રદયરોગના નિષ્ણાંત, ધી ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માંથી કેન્સરરોગના નિષ્ણાંત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ અને રિસર્ચ સેન્ટરમાંથી કીડની રોગના નિષ્ણાંત જરૂરી સાધનસામગ્રી અને સ્ટાફ સાથે હાજર છે.

આ કેમ્પમાં ઓપ્થલમોલોજી, ઈએનટી, સ્કીન, ઓર્થોપેડિક, ગાયનેક, ડેન્ટલ, મેડિસિન, સર્જરી જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત ડૉક્ટરશ્રીઓ અને તેમની ટીમ સાધનસામગ્રી, દવાઓ અને લોજિસ્ટિક સાથે GMERS, ગાંધીનગરમાંથી ઉપસ્થિત છે.

આ ઉપરાંત લેબોરેટરીની તમામ સાધનસામગ્રી તથા વધુમાં વધુ ટેસ્ટ થઈ શકે તે પ્રકારની સુવિધા સ્થળ ઉપર જ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ, ઈડરના ધારાસભ્ય રમણ વોરા તથા જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય સંજય કોરડીયા સહિત વિવિધ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિધાનસભાના સંયુક્ત સચિવ રીટા મહેતા, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *