સુરત,
કામરેજ વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માળખું પ્રાપ્ત થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી માધ્યમિક શાળાઓના નવા બાંધકામ માટે મંજૂરી આપવામાં આવતા કામરેજ વિસ્તારને શિક્ષણ ક્ષેત્રે નવી ભેટ મળી છે.
કામરેજ વિસ્તારની ત્રણ મહત્વપૂર્ણ સરકારી શાળાઓને નવા બાંધકામ માટેની વહિવટી મંજૂરી ફાળવવામાં આવી છે. જેમાં —
- ગવર્નમેન્ટ સેકન્ડરી સ્કૂલ, વેલંજા માટે રૂપિયા ૫.૮૪ કરોડ
- ગવર્નમેન્ટ સેકન્ડરી સ્કૂલ, કામરેજ (નહેર વિસ્તાર) માટે રૂપિયા ૪.૮૫ કરોડ
- ગવર્નમેન્ટ સેકન્ડરી સ્કૂલ, કઠોદરા માટે રૂપિયા ૪.૮૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ તમામ શાળાઓ માટેની જગ્યા તથા પ્રાથમિક આયોજન તે સમયગાળા દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું જ્યારે પ્રફુલ પાનશેરીયા શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે રાજ્ય સરકાર દ્વારા આ વિકાસકાર્યોને સત્તાવાર મંજૂરી મળતા વિસ્તારના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષણજગતમાં આનંદની લાગણી વ્યાપી છે.
આ અવસરે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને ગ્રામ્ય તથા વિકાસશીલ વિસ્તારોના વિદ્યાર્થીઓને શહેર જેવી આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.
પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે નવા બાંધકામોથી વિદ્યાર્થીઓને ઉત્તમ અભ્યાસ માહોલ, સુરક્ષિત ઇમારતો અને ગુણવત્તાસભર શિક્ષણ માટે જરૂરી આધુનિક સુવિધાઓ મળશે, જે ભવિષ્યમાં સમગ્ર વિસ્તારના શૈક્ષણિક વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે.
રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિગમથી કામરેજ વિસ્તારના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને વધુ મજબૂત આધાર પ્રાપ્ત થયો છે.
