અમને ખ્યાલ છે કે જો ભાજપને હરાવવા હોય તો આપણે એક થવું પડશે, આમાં કેટલીક સમસ્યાઓ છે, જેને અવગણી શકાય નહીઃ પવાર

નવી દિલ્હી
આજે સતત બીજા દિવસે બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, શરદ પવાર આજે બીજા દિવસે બેઠકનો ભાગ બનશે. આ દરમિયાન તાજેતરના ઈન્ટરવ્યુમાં શરદ પવારે વિપક્ષની એકતા પર શંકા વ્યક્ત કરી છે. તેને કહ્યું કે, ઘણી ‘સમસ્યાઓ છે, જેને અવગણી શકાય નહીં’. અહેવાલ છે કે, 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષ લગભગ 26 પાર્ટીઓ મંથન કરવા જઈ રહી છે.
એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું વિપક્ષી એકતા વાસ્તવિકતા બની શકે છે? તેના પર પવારે કહ્યું કે, દરેકને લાગે છે કે દેશના હિત માટે તમામ વિપક્ષી દળોએ સાથે આવવું પડશે, પરંતુ આપણે એ પણ સમજવું પડશે કે વિપક્ષી એકતા સરળ નથી. “અમને ખ્યાલ છે કે જો ભાજપને હરાવવા હોય તો આપણે એક થવું પડશે. આમાં કેટલીક સમસ્યાઓ છે, જેને અવગણી શકાય નહીં.
પવારે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં, ઉદાહરણ તરીકે, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ રાજકીય વિરોધી છે. કેરળમાં ડાબેરીઓ અને કોંગ્રેસ વિરોધી છે. તેમણે કહ્યું કે, જો આ મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી પછી એકતાની શક્યતાઓ વિશે વિચારવું પડશે. તેમણે કહ્યું કે આપણે વિવિધ રાજકીય પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું જોઈએ.
