ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં વારકરીઓને આમ-તેમ દોડતા અને પોલીસકર્મીઓ સાથે બાથ ભીડતા જોઈ શકાય છે

પૂણે
મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સાંજે પોલીસ કર્મચારીઓ અને વારકરીઓ ( ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વિઠ્ઠલના ભક્તો) વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વારકરીઓને આમ-તેમ દોડતા અને પોલીસકર્મીઓ સાથે બાથ ભીડતા જોઈ શકાય છે. આ ઘટના એક શોભાયાત્રા દરમિયાન બની હતી.
આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષનો આરોપ છે કે પોલીસે વારકરીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મુઘલોનો પુનર્જન્મ થયો છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે પોલીસ લાઠીચાર્જની કોઈ ઘટના બની નથી.
આ ઘટના પૂણેથી 22 કિમી દૂર આલંદી શહેરમાં બની હતી. ઔપચારિક શોભાયાત્રા દરમિયાન સંત જ્ઞાનેશ્વર મહારાજના સમાધિ મંદિરમાં યાત્રાળુઓ પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે તેમને આમ કરતા અટકાવ્યા હતા, જેના કારણે અથડામણ થઈ હતી. આ શોભાયાત્રા પંઢરપુરની વાર્ષિક અષાઢી એકાદશી યાત્રાનો એક ભાગ હતી.
યાત્રાળુઓને રોકવા માટે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. જોકે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે શ્રદ્ધાળુઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો. દરમિયાન મહારાષ્ટ્ર પોલીસે કહ્યું છે કે તેણે લાઠીનો ઉપયોગ કર્યો નથી. પોલીસ કર્મચારીઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. પિંપરી ચિંચવાડના કમિશનર વિનય કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે પોલીસે કોઈ અપ્રિય ઘટનાને રોકવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી હતી અને મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠકો કરી હતી. પોલીસ એક સમયે 75 ભક્તોની ટુકડી મોકલી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ બેરિકેડ તોડીને મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઝઘડો થયો હતો.
આ ઘટના સામે આવ્યા બાદ રાજકારણ શરૂ થયું છે. વિપક્ષે કહ્યું છે કે પોલીસે વારકરીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. એનસીપીના કાર્યકારી પ્રમુખ અને સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા ગેરવહીવટને કારણે વાર્ષિક તહેવાર પર અસર પડી છે. વારકરી સમાજ પર લાઠીચાર્જ જોઈને દુઃખ થયું. જેમણે આવું કર્યું છે તેમની સામે પગલાં લેવા જોઈએ. હું આ ઘટનાની નિંદા કરું છું. આટલા વર્ષોમાં આવું ક્યારેય બન્યું નથી.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ઉચ્ચ સ્તરીય તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જ્યારે શિવસેના (યુબીટી) નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હિન્દુત્વનો ઢોંગ કરતી સરકારના દંભનો પર્દાફાશ થઈ ગયો છે. ચહેરા ઉઘાડા પડી ગયા છે. શું ઔરંગઝેબ આનાથી અલગ હતો? મહારાષ્ટ્રમાં મુઘલોનો પુનર્જન્મ થયો છે.”
