રિટાયર્ડ હર્ટ થયા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર ફરી એકવાર મેદાન પર રમવા આવી હતી. 80 બોલમાં 48 રનની ઈનિંગ રમીને તે રિટાયર્ડ હર્ટ થઈ
ઢાકા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. બાંગ્લાદેશમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી મેચ આજે ઢાકામાં રમાઈ રહી છે. આ મેચની વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મેચ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને ઈજા થઇ હતી.
બીજી વનડે મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સની ફિફ્ટીના કારણે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. પરંતુ ભારતની ઇનિંગની 28મી ઓવર દરમિયાન ટીમને મોટો ઝાટકો લાગ્યો હતો. આ ઓવરમાં હરમનપ્રીત કૌરનું બેટ જમીન પર ફસાઈ ગયું, જેના કારણે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું. આ ઈજા બાદ 35મી ઓવરમાં એક બોલ તેના ગ્લોવ્ઝ પર વાગ્યો હતો. જે બાદ તેણે રીટાયર્ડ હર્ટ થવાનો નિર્ણય લીધો હતો.
ઈજાના કારણે હરમનપ્રીત કૌરે 35મી ઓવરમાં મેદાન છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રિટાયર્ડ હર્ટ થયા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર ફરી એકવાર મેદાન પર રમવા આવી હતી. 80 બોલમાં 48 રનની ઈનિંગ રમીને તે રિટાયર્ડ હર્ટ થઈ ગઈ હતી અને તે પરત ફરતાની સાથે જ તેણે 82માં બોલ પર તેની ફિફ્ટી પૂરી કરી હતી. આ મેચમાં હરમનપ્રીત કૌરે 88 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં આ સિરીઝમાં 0-1થી પાછળ છે. આવી સ્થિતિમાં, સિરીઝમાં ટકી રહેવા માટે, ભારતીય ટીમે આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. બીજી મેચમાં બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સની ફિફ્ટીની મદદથી ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી નાહિદા અખ્તરે બે વિકેટ ઝડપી હતી.