રાહુલના સજા પર સ્ટે ન આપનારા જસ્ટિસ હેમંત પ્રચ્છકની પટના બદલીની ભલામણ

Spread the love

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ વૈન કોગજે, જસ્ટિસ કુમારી ગીતા ગોપી અને જસ્ટિસ સમીર જે દવેની પણ અન્ય કોર્ટમાં બદલી માટે ભલામણ

નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરનારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકની બદલી માટે ભલામણ કરી છે તેમજ તેમના સિવાય ગુજરાત હાઈકોર્ટના અન્ય ત્રણ ન્યાયાધીશની પણ બદલી માટે ભલામણ કરવામાં આવી છે. જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકની પટના હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે તરીકે ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ વૈન કોગજે, જસ્ટિસ કુમારી ગીતા ગોપી અને જસ્ટિસ સમીર જે દવેની પણ અન્ય કોર્ટમાં બદલી માટે ભલામણ કરવામાં આવી છે. 

રાહુલ ગાંધી મોદી સરનેમ કેસમાં સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ સુરતની સેશન્સ કોર્ટમાં ગયા હતા પરંતુ ત્યાથી પણ તેમને રાહત ન મળતા ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા. જસ્ટિસ હેમંત પ્રચ્છકે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજી પર સુનાવણી કરી હતી પરંતુ બાદમાં તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી અને નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા અટકાવી સજાને રદ કરી દીધી હતી. આ બાદ લોકસભા સચિવાલયે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડીને રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરી હતી. આ સાથે જ રાહુલ ગાંધીને રાહત આપતા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી મહત્તમ સજા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના 4 ન્યાયાધીશ ઉપરાંત પંજાબ હરિયાણા હાઈકોર્ટના 4 અને અલાહાબાદ હાઈકોર્ટના એક ન્યાયાધીશનું નામ પણ ભલામણ કર્યું છે. જેમાં પંજાબ હરિયાણા હાઈકોર્ટના અરવિંદ સિંહ સાંગવાનની અલાહાબાદ હાઈકોર્ટમાં અને અરુણ મોંઘાની રાજસ્થાન હાઈકોર્ટમાં, અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ વિવેકકુમાર સિંહની મદ્રાસ હાઈકોર્ટમાં, અવનીશ ઝિંગનની ગુજરાત હાઈકોર્ટમાં, રાજમોહન સિંહની મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં બદલી માટે ભલામણ કરવામાં આવી છે.

જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. પોરબંદરમાં પ્રારંભિક અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે પોબંદરમાં જ આગળનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી અને વર્ષોની પ્રેક્ટિસ પછી તેમણે 2002થી 2007 સુધી સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ હેમંત એમ પ્રચ્છકે 2015થી 2019 સુધી કેન્દ્ર સરકાર માટે કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે કામ કર્યું હતું અને બાદમાં 18 ઓક્ટોબર, 2021ના ​​રોજ તેઓ હાઇકોર્ટના જસ્ટિસ બન્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *