હરિયાણા સરકારે નૂહમાં 1208 જેટલા બાંધકામો ધ્વસ્ત કરી નાખ્યા, ઈન્દિરા આવાસ યોજના તથા પ્રિયદર્શની આવાસ યોજનાના મકાનો ધ્વસ્ત

રોહતક
પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટના આદેશ કોમી રમખાણો સહન કરી ચૂકેલા નૂહમાં બુલડોઝર એક્શનની કાર્યવાહી અટકી તો ગઈ છે પણ તેના પહેલા હરિયાણા સરકારે નૂહમાં 1208 જેટલા બાંધકામો ધ્વસ્ત કરી નાખ્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જોકે મોટાભાગે બુલડોઝરની કાર્યવાહી એક ખાસ સમુદાયના લોકોને લગતી મિલકતો પર જ કરાઈ હોવાનું સામે આવ્યું છે. આ બુલડોઝર ગરીબી રેખા નીચે જીવતા એ પરિવારો ઉપર પણ ફેરવી નખાયું જેમને સરકારી યોજના હેઠળ મકાન મળ્યા હતા.
ગેરકાયદે બાંધકામ હોવાનો દાવો કરીને સરકારે કરેલી કાર્યવાહીમાં તંત્રએ એટલી ઉતાવળ બતાવી કે ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે ઈન્દિરા આવાસ યોજના તથા પ્રિયદર્શની આવાસ યોજના હેઠળ 2012-13માં બનાવાયેલા બે મકાનોને પણ ધ્વસ્ત કરી નખાયા. હવે આ પરિવારના બાળકો ખુલ્લા આકાશ નીચે જીવન વ્યતિત કરવા મજબૂર થઈ ગયા છે.
પીડિત વ્યક્તિએ જણાવ્યું કે મારું ઘર સરપંચે બનાવડાવ્યું હતું. અમે ગરીબ છીએ. મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ. હવે અમે ક્યાં જઈશું? હું અહીં જ રહેવા માગુ છું. પહેલાં પણ ઘર સરકારે બનાવ્યું હતું, હવે પણ બનાવી આપે. આ બંને ઘરની દીવાલો પર સ્પષ્ટ રીતે લખ્યું છે કે આ ઘર હરિયાણા સરકારની પ્રિયદર્શની યોજના હેઠળ બનાવાયા છે.