અમારા હાથ બંધાયેલા છે, અમે ભાજપના સાથી છીએ, તેથી અમારે કેટલાક આદેશોનું પાલન કરવું પડશેઃ સાસંદ

નવી દિલ્હી
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સહયોગી પક્ષ નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)ના એક સાંસદે મણિપુર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. એનપીએફ સાંસદ લોરહો પફોજે કહ્યું કે અમને મણિપુર મુદ્દે સંસદમાં બોલતા અટકાવવામાં આવ્યા હતા. પફોજે કહ્યું કે અમે મણિપુર પર સંસદમાં બોલવા માગતા હતા પરંતુ ઉચ્ચ અધિકારીઓએ અમને મંજૂરી આપી ન હતી. તેમણે કહ્યું કે હા, અમે ભાજપના સહયોગી છીએ પરંતુ અમારે અમારા લોકો માટે પણ બોલવું પડશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને કોણે અટકાવ્યા હતા? તેના પર પફોજે કહ્યું, “અમારા હાથ બંધાયેલા છે, અમે ભાજપના સાથી છીએ, તેથી અમારે કેટલાક આદેશોનું પાલન કરવું પડશે.” ભાજપે મણિપુરમાં ઘણું કામ કર્યું છે, પર્વતીય વિસ્તારોમાં પણ, પરંતુ તાજેતરમાં જે રીતે આ મુદ્દાને હેન્ડલ કરવામાં આવ્યો તે ખોટું છે.
રાહુલ ગાંધીના વખાણ કરતા પફોજે કહ્યું કે, ‘રાહુલ ગાંધી અમારા વિરોધીઓમાંથી છે. તેમણે જે રીતે મણિપુરની મુલાકાત લીધી અને લોકોને મળ્યા તેનાથી હું પ્રભાવિત થયો હતો. આ સમયે આવું જ કરવાની જરૂર છે. વડાપ્રધાન હજુ પણ મણિપુર મુદ્દે ધ્યાન ન આપતા અમે નારાજ છીએ. આપણે હાલ સાંત્વના આપવાની જરૂર છે, વડાપ્રધાને જઈને એ જ કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે કેન્દ્ર દ્વારા જે રીતે બિરેન સિંહને બચાવાયા તેનાથી પણ અમે નારાજ છીએ. તેમણે કહ્યું કે મહિલા અને બાળ વિકાસ મંત્રીએ દુષ્કર્મ પર બોલવું જોઈતું હતું. તે ખૂબ જ સ્પષ્ટ વક્તા છે અને બોલવું જોઈએ. સરકારની ટીકા કરતાં તેમણે કહ્યું કે, ‘મણિપુર પર વાત કરતાં હું સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબોથી ખુશ નથી. જ્યારે આપણે મણિપુર વિશે વાત કરીએ છીએ ત્યારે શા માટે આપણે તેને અલગ કરી શકીએ અને કહી શકીએ કે આપણે અન્ય રાજ્યો સાથે શા માટે સરખામણી કરવી જોઈએ? વડાપ્રધાન, જે મારા નેતા છે તેમણે આગળ આવીને તેમના આંસુ લૂછવા જોઈએ.
