મતદારોને રિઝવવા કોંગ્રેસ 20 ઓગસ્ટથી રાજ્યમાં પદયાત્રા યોજશે

Spread the love

પદયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ જોડાશે અને મતદારો સાથે સંપર્ક કરશે, જિલ્લા દીઠ અને લોકસભાની બેઠક પ્રમાણે જનસંપર્ક કરવામાં આવશે


અમદાવાદ
ગુજરાત કોંગ્રેસમાં હવે નવા પ્રાણ ફૂંકવા માટે હાઈકમાન્ડે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવ્યો છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી. તે ઉપરાંત નવા સંગઠનને લઈને પણ તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં આગામી સમયમાં સંગઠનને મજબૂત કરવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં છે. જે કાર્યકરો નિષ્ક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે તેમને પક્ષ બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે તેવુ કોંગ્રેસના સુત્રો જણાવી રહ્યાં છે. તે ઉપરાંત નવું સંગઠન રચાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. હવે આગામી સમયમાં પક્ષના જે હોદ્દેદારો છે તેમની જવાબદારીનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે. તેમને મળેલી જવાબદારી અને જવાબદેહી પણ નક્કી કરવામાં આવશે. જેથી હવે આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
તાજેતરમાં જ એવી ચર્ચાઓ સામે આવી હતી કે, વાયનાડના સાંસદ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો ભાગ ગુજરાતથી શરૂ કરવામાં આવશે. આ બાબતેની ચર્ચાઓ પણ બેઠકમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. આગામી સમયમાં કોંગ્રેસ મતદારોને રિઝવવા માટે જનસંપર્કની શરૂઆત કરશે. આગામી 20 ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતિથી કોંગ્રેસ પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ જોડાશે અને મતદારો સાથે સંપર્ક કરશે. જિલ્લા દીઠ અને લોકસભાની બેઠક પ્રમાણે જનસંપર્ક કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *