ઓનલાઈન અને પેપરલેસ કોર્ટનીં સ્થાપના કરવાના ઉદ્દેશ્ય હેઠળ રૂ.7210 કરોડના ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને મંજુરી અપાઈ

નવી દિલ્હી
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં જી20 શિખર સંમેલનની સફળતા પર આજે કહ્યું કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને જી20 સમિટના સફળ સમાપન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે, ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક પ્રસ્તાવ પણ રજુ કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત આજે વૈશ્વિક એજન્ડા-સેટિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે, જેનો શ્રેય દેશના નેતૃત્વને જાય છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના જણાવ્યા મુજબ, પીએમ મોદીના નેતૃત્વમાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2 મુખ્ય નિર્ણય લેવાયા છે, જેમાં ઉજ્જવલા યોજનાનો વિસ્તાર વધારવા આગામી 3 વર્ષમાં 2026 સુધી 75 લાખથી વધુ એલપીજી કનેક્શન ફ્રી અપવામાં આવશે. આ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષ સુધી ગેસ કનેક્શન અપાશે, જેમાં પ્રથમ રિફિલ ફ્રી અપાશે, જેનો ખર્ચ ઑઈલ કંપનીઓ ઉઠાવે છે.
અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, કેબિનેટ દ્વારા બીજો મહત્વનો નિર્ણય કરાયો છે, જેમાં ઓનલાઈન અને પેપરલેસ કોર્ટનીં સ્થાપના કરવાના ઉદ્દેશ્ય હેઠળ આજે રૂ.7210 કરોડના ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને મંજુરી અપાઈ છે. ઓનલાઈન અને પેપરલેસ કામકાજથી ન્યાયતંત્ર વધુ પારદર્શન બનશે. પેપરલેસ કોર્ટો માટે ઈ-ફાઈલિંગ અને ઈ-ચૂકવણી સિસ્ટમને સાર્વત્રિક બનાવાશે. ઉપરાંત ડેટા સ્ટોર માટે ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરાશે. તમામ કોર્ટ પરિસરમાં 4400 ઈ-સેવા કેન્દ્ર સ્થાપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રક્ષાબંધને રસોઈ ગેસની કિંમત ઘટાડવામાં આવી હતી, જેમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ કહ્યું કે, આ યોજનાથી મહિલાઓના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે.
