જેમ ઓસામા બિન લાદેન માત્ર એક એન્જિનિયર ન હતો, તેમ હરદીપ સિંહ નિજ્જર માત્ર એક પ્લમ્બર ન હતો

વોશિંગ્ટન
કેનેડા તરફથી ભારત પર લગાવાયેલા આરોપ અંગે બાયડેન સરકાર (યુએસએ)ના વલણ પર અમેરિકી ડિફેન્સ વિભાગના પૂર્વ અધિકારી માઈકલ રુબિન એ જોરદાર પ્રહાર કર્યા છે. રુબિને કહ્યું કે વિદેશમંત્રી બ્લિંકન જો કહે છે કે અમેરિકા હંમેશા આંતરરાષ્ટ્રીય ઉત્પીડન વિરુદ્ધ ઊભું રહેશે તો આપણે ખરેખર પાખંડી બની ગયા છીએ કેમ કે આપણે જેના વિશે વાત કરી રહ્યાં છીએ તે આંતરરાષ્ટ્રીય દમન છે જ નહીં.
અમેરિકી ડિફેન્સ વિભાગના પૂર્વ અધિકારી અને અમેરિકન એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટ્યૂટના સિનિયર ફેલો માઈકલ રુબિને કહ્યું કે આપણે આતંરરાષ્ટ્રીય આતંકવાદ વિશે વાત કરી રહ્યા છીએ. અમેરિકાએ કાસીમ સુલેમાની અન ઓસામા બિન લાદેશ સાથે જે કર્યું. ખરેખર કેનેડાના કથિત આરોપો પણ તેનાથી અલગ નથી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે, અમેરિકાએ કેનેડાના આ આરોપોને જાહેરમાં સ્વીકાર્યા નથી. પરંતુ તેને ગંભીર ગણાવવામાં આવ્યા છે. કેનેડા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો પર અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી અમેરિકા અત્યંત ચિંતિત છે. ભારતે આ મામલે કેનેડા સાથે મળીને કામ કરવું જોઈએ.
જસ્ટિન ટ્રુડોના ભારત પરના ગંભીર આરોપના જવાબમાં માઈકલ રુબિને કહ્યું, આપણે પોતાને મૂર્ખ ન બનાવવું જોઈએ. જેમ ઓસામા બિન લાદેન માત્ર એક એન્જિનિયર ન હતો, તેમ હરદીપ સિંહ નિજ્જર માત્ર એક પ્લમ્બર ન હતો. તેના હાથ ઘણા લોકોના લોહીથી રંગાયેલા હતા.
માઈકલ રુબિને વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર પર ટ્રુડો દ્વારા સંસદમાં કરાયેલા આક્ષેપો ભારત કરતાં કેનેડા માટે વધુ ખતરનાક છે. જો અમેરિકાએ કેનેડા અને ભારત વચ્ચે પસંદગી કરવી હશે, તો અમેરિકા ચોક્કસપણે ભારતને પસંદ કરશે. કારણ કે, નિજ્જર એક આતંકવાદી હતો. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ ભારત અમેરિકા માટે કેનેડા કરતાં વધુ મહત્વનું છે.”તેમણે એમ પણ કહ્યું કે કેનેડાનું ભારત સાથે લડવું એ હાથી સાથે કીડીની લડાઈ જેવું છે. સત્ય એ છે કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે.
