આરોપી અમદાવાદ આવ્યા હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી નર્સિંગના ચોથા વર્ષના અંદાજે 14 જેટલા વિદ્યાર્થીઓની 28 જેટલી ઉતરવહીઓ ગુમ થવાની ઘટના બે મહિના પહેલા બની હતી. જે અંગે ગત 12 જુલાઇએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસમાં પોલીસને સની ચૌધરી અને અમિત સીંગ નામના વ્યક્તિઓની સંડોવણીની વિગતો જાણવા મળી હતી. જો કે ફરિયાદ દાખલ થયા બાદ બંને ફરાર થઇ ગયા હતા. ત્યારે આખરે અઢી મહિના બાદ મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિત સિંઘની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. આરોપીઓને પકડવા પોલીસ અન્ય રાજ્યમાં પણ પહોંચી હતી, પરંતુ આરોપી ભાગતા રહેતા હતા, જેથી પોલીસ પકડી શકતી નહોતી. આરોપી અમદાવાદ આવ્યા હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે મીડિયાને જણાવ્યું હતું કે, સની ચૌધરી અને અમિતસિંઘ બન્ને નવા વાડજના રહેવાસી છે. બન્નેની પુછપરછમાં એવું જાણવા મળ્યું છે કે, ઉત્તરવહી માટેના સ્ટ્રોંગ રૂમનો પટ્ટાવાળો સંજય ડોમર હતો તેની સાથે સેટિંગ કરી લગભગ 60 આસપાસ વિદ્યાર્થીઓ સાથે સેટિંગ કરી દરેક પાસેથી 20થી 50 હજાર રૂપિયા લઈ પાસ કરાવ્યા છે. એમના ઘણા બધા પોલિટિશિયન્સ સાથે ફોટો છે પણ આ કોઈ ઓફિશિયલ હોદ્દેદાર અને કોઈ પણ સ્ટુડન્ટ પક્ષ સાથે જોડાયેલા હોય એવું અત્યાર સુધી જોવા મળ્યું નથી.
ચૈતન્ય માંડલિકે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં 10 જુલાઈએ રાતે બોટની વિભાગમાંથી નર્સિંગની 14 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી. યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવતા 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ હતી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે 14 વિદ્યાર્થીઓ અને બોટની વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓની પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં સની ચૌધરી અને અમિત સિંઘ નામના આરોપીની સમગ્ર મામલે સંડોવણી સામે આવી હતી. આરોપી પરિણામ આવે તે જ દિવસે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા હતા. વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષામાં પાસ કરાવવા માટે સેટિંગ કરતા હતા. વિદ્યાર્થી પાસેથી એક પેપર દીઠ 50 હજાર રૂપિયા લેતા હતા.
ચૈતન્ય માંડલિકે વધુમાં જણાવ્યું હતું કે, બન્ને આરોપીઓ રાજકીયપક્ષોની વિદ્યાર્થી પાંખ સાથે જોડાયેલા હોવાનો દાવો કરતા હતા પણ તે કોઈ ઓફિશિયલ હોદ્દેદાર નથી. તે લોકોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર હોદ્દા લખતા હતા. નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ઇન્સ્ટાગ્રામની મદદથી કોન્ટેક કરતા હતા. ત્યારબાદ જ્યારે વિદ્યાર્થી પૈસા આપીને પાસ થઈ જવા માટે તૈયાર થાય ત્યારે તે વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેમનો સંપર્ક કરતા હતા અને જ્યારે રિ-ટેસ્ટ હોય ત્યારે એક પેસિફિક માર્ક નક્કી કરતા હતા. પેસિફિક માર્ક ઉત્તરવહી ઉપર કર્યા પછી એ કોરી ઉત્તરવહી સ્ટોર રૂમ ખાતે મોકલી આપવામાં આવતી હતી. જ્યારે સંજય ડોમર રાતના સમયે માર્કિંગવાળી ઉત્તરવહી અલગ કરીને સની અને અમિતને આપી દેતો હતો અને રાતના સમયે વિદ્યાર્થીને બોલાવી ભાઈજીપુરામાં એક કોમ્પલેક્ષમાં જઈ ઉત્તરવહીમાં જવાબો લખી લેતા હતા. ત્યાર બાદ વહેલી સવારે ઉત્તરવહી ફરીથી સ્ટ્રોંગ રૂમમાં રાખી પાસ કરવાનું કૌભાંડ કરતા હતા.
