બીજેપી સાંસદ રમેશ બિધૂડી મામલે તેમણે કહ્યું કે, એ જોવાનું રહેશે કે, તેઓ કઈ પરિસ્થિતિમાં આવું બોલ્યાઃ સ્વામિ ચક્રપાણિ મહારાજ

નવી દિલ્હી
ઓલ ઈન્ડિયા હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામિ ચક્રપાણિ મહારાજે લોકસભા ચૂંટણી પહેલા બનેલા મહાગઠબંધન ઈન્ડિયા પર પ્રહાર કરતા કહ્યું કે, આ ગઠબંધનમાં કેટલાક લોકો સનાતન ધર્મના વિરોધી છે અને જનતા તેમને પાઠ ભણાવશે. આ ઉપરાંત બીજેપી સાંસદ રમેશ બિધૂડી મામલે તેમણે કહ્યું કે, એ જોવાનું રહેશે કે, તેઓ કઈ પરિસ્થિતિમાં આવું બોલ્યા.
ચક્રપાણિ મહારાજે કહ્યું કે, રમેશ બિધૂડીએ કઈ પરિસ્થિતિઓમાં આવીને આ પ્રકારની વાત કરી છે તે જોવું પડશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને બીએસપી સાંસદ દાનિશ અલીની મુલાકાત પર તેમણે કહ્યું કે, તેઓ દાનિશ અલી સાથે મુલાકાત કરવા જાય છે જે હિન્દુ સનાતનનો વિરોધ કરે છે. કોંગ્રેસ તેની સાથે છે.
આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા ભૂમિકા બનવાનું શરૂ થઈ ગયુ છે અને નિવેદનો પણ તેજ થઈ ગયા છે. તાજેતરમાં જ તમિલનાડુના મંત્રી અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારી સાથે કરી હતી. ત્યારબાદ બીજેપી સતત પ્રહારો કરી રહી છે. ડીએમકે ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે. આવી સ્થિતિમાં બીજેપી મહાગઠબંધનના નેતાઓને સવાલ કરી રહી છે કે, શું તેઓ સનાતન ધર્મના વિરોધમાં છે?
બીજી તરફ બીજેપી સાંસદ રમેશ બિધૂડી દ્વારા સંસદમાં બીએસપી સાંસદ દાનિશ અલી વિરુદ્ધ અપમાનજનક શબ્દોના ઉપયોગ પર રાજકારણ ગરમાયુ છે. આ મામલે મહાગઠબંધનના નેતા બીજેપીને ઘેરીને રમેશ બિધૂડી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બીજી તરફ રમેશ બિધૂડીએ આ મામલે બોલવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, અધ્યક્ષ આ મામલે તપાસ કરી રહ્યા છે. બીજી તરફ દાનિશ અલીએ કહ્યું કે, જો બિધૂડી વિરુદ્ધ કાર્યવાહી ન કરાઈ તો તેઓ સંસદ સદસ્યતા છોડી દેશે.
