સૈન્ય દેશભરમાં સરકારી યોજનાઓના પ્રચારમાં મદદ કરશે એવો એક અહેવાલમાં દાવો કરાયો હતો

નવી દિલ્હી
કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન તાકતાં કોંગ્રેસે કહ્યું કે પોતાના રાજકીય પ્રચાર માટે સૈન્યનો ઉપયોગ ન કરવો જોઈએ. આ કેન્દ્રનો વાહિયાત પ્રયાસ છે. કોંગ્રેસે આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ આ મામલે હસ્તક્ષેપ કરવા માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે સૈન્ય દેશભરમાં સરકારી યોજનાઓના પ્રચારમાં મદદ કરશે. આ મામલે જ કોંગ્રેસે આ નિવેદન આપ્યું છે. કોંગ્રેસના મહાસચિવ (કમ્યુનિકેશન) જયરામ રમેશે કહ્યું કે ભારતીય સૈન્ય સમગ્ર દેશની સેના છે. અમને ગર્વ છે કે અમારી બહાદુર સેના ક્યારેય આંતરિક રાજકારણનો હિસ્સો નથી બની. ગત સાડા 9 વર્ષોમાં મોંઘવારી, બેરોજગારી તથા અન્ય તમામ મોરચે નિષ્ફળતા સાંપડ્યા બાદ મોદી સરકાર હવે સૈન્યનો રાજકીય પ્રચાર કરવા માટે ઉપયોગ કરવા જઈ રહી છે. આ તેનો એક વાહિયાત પ્રયાસ છે.
કોંગ્રેસ વતી જયરામ રમેશે કહ્યું કે સૈન્યનું રાજનીતિકરણ કરવાનો આ પ્રયાસ અત્યંત ખતરનાક પગલું છે. અમે રાષ્ટ્રપતિને અપીલ કરીએ છીએ કે તે આ મામલે હસ્તક્ષેપ કરે અને મોદી સરકારના આ ખોટાં પગલાને તાત્કાલિક ધોરણે પાછું ખેંચવા કહે.
