સુરેન્દ્ર કોલીને 12 અને મનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજાને હાઈકોર્ટે રદ કરી દીધી

નોઈડા
નોઈડાના ચર્ચિત નિઠારી કાંડમાં અલ્હાબાદ હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને તમામ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ લોકોને નિઠારી કાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુરેન્દ્ર કોલીને 12 અને મનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજાને હાઈકોર્ટે રદ કરી દીધી છે. હાઈકોર્ટે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે આપેલી ફાંસીની સજા રદ કરી દીધી છે. આ કેસમાં હાઈકોર્ટે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
હાઈકોર્ટે બંને દોષિતોની અરજી પર આજે નિર્ણય સંભળાવ્યો હતો. સુરેન્દ્ર કોલીએ 12 કેસોમાં મળેલી ફાંસીની સજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જ્યારે મનિંદર સિંહ પંઠેરે બે કેસમાં મળેલી સજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
હાઈકોર્ટે કોઈ પ્રત્યક્ષ પુરાવા અને કોઈ સાક્ષીના અભાવના આધાર પર ગુનેગારોને નિર્દોષ જાહેર કર્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયથી સીબીઆઈને મોટો ઝટકો લાગ્યો છે. જોકે રિમ્પા હલદર મર્ડર કેસમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોહલીની ફાંસીની સજા યથાવત રાખી હતી. આ પુરાવાના આધારે બંનેને રિમ્પા હલદર હત્યા કેસમાં ફાંસીની સજા ફટકારી હતી.
