પ્રલય મિસાઈલની રેન્જ 350-500 કિલોમીટર છે અને તે 500-1000 કિલોગ્રામ પેલોડ લઈ જવામાં સક્ષમ છે

નવી દિલ્હી
ભારતે આજે જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ ઓડિશા તટ પર અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યુ છે. આ પ્રલય મિસાઈલ ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ સવારે 9:50 વાગ્યે કરવામાં આવ્યુ અને તેણે તેના તમામ ઉદ્દેશ્યો પૂરા કરી લીધા છે.
ટ્રેકિંગ ઉપકરણોથી મિસાઈલની ટ્રેજેક્ટરીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પ્રલય મિસાઈલની રેન્જ 350-500 કિલોમીટર છે અને તે 500-1000 કિલોગ્રામ પેલોડ લઈ જવામાં સક્ષમ છે. પ્રલય મિસાઈલને એલએસી અને એલઓસી પર તૈનાત કરવા માટે વિકસાવવામાં આવી છે. રક્ષા અધિકારીઓનું કહેવું છે કે, ચીનની ડોંગ ફેંગ 12 અને રશિયાની ઈસ્કેન્ડર મિસાઈલોની તુલના ભારતની પ્રલય મિસાઈલ સાથે થઈ શકે છે. યુક્રેન યુદ્ધમાં રશિયાએ ઈસ્કેન્ડર મિસાઈલનો મોટાપાયે ઉપયોગ કર્યો છે. પાકિસ્તાન પાસે પણ આ રેન્જની બેલેસ્ટિક મિસાઈલો છે.
22 ડિસેમ્બર 2021ના રોજ ડીઆરડીઓએ અબ્દુલ કલામ દ્વિપથી પ્રલયનું પ્રથમ પરીક્ષણ કર્યું હતું. મિસાઈલને ઉચ્ચ સ્તરની સટીકતા, માન્ય નિયંત્રણ, માર્ગદર્શન પ્રણાલી અને મિશન એલ્ગોરિદમ સાથે 400 કિમી પર નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટે અર્ધ બેલેસ્ટિક પથને ફોલો કર્યો હતો. 23 ડિસેમ્બર 2021ના રોજ ડીઆરડીઓએ અબ્દુલ કલામ દ્વીપથી પ્રલયનું વધુ એક પરીક્ષણ કર્યું હતું. હથિયારોની ઘાતકતા અને સટીકતાની તપાસ માટે ભારી પેલોડનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
