વીરેન્દ્ર સેહવાગે આ બે ટ્વિટમાં પાકિસ્તાન ટીમે ટુર્નામેન્ટમાં જે રીતે પર્ફોમન્સ કર્યું છે તેનું વર્ણન કરવાનો પ્રયાસ કર્યો

નવી દિલ્હી
વર્લ્ડ કપ 2023માં પહેલી બે મેચ જીતીને શાનદાર આગાઝ કરનારી પાકિસ્તાન માટે હવે સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા નહીંવત છે ત્યારે હવે ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનની ટીમ માટે બે ટ્વિટ કર્યા છે જે હાલ વાયરલ થઈ છે.
વીરેન્દ્ર સેહવાગે આ બે ટ્વિટમાં પાકિસ્તાન ટીમે ટુર્નામેન્ટમાં જે રીતે પર્ફોમન્સ કર્યું છે તેનું વર્ણન કરવાનો પ્રયાસ કર્યો છે. વીરેન્દ્ર સેહવાગે એક ફોટો શેર કર્યો જેના પર લખ્યું છે, ‘બાય-બાય પાકિસ્તાન’, આ ફોટાને શેર કરતા સેહવાગે કેપ્શનમાં લખ્યું હતું કે ‘પાકિસ્તાન જિંદાભાગ! ઘર વાપસી માટે તમારી યાત્રા શુભ રહે તેમજ અન્ય એક ટ્વિટમાં સેહવાગે લખ્યું છે કે પાકિસ્તાનની ખાસ વાત એ છે કે પાકિસ્તાન જે ટીમને સપોર્ટ કરે છે તે પણ પાકિસ્તાનની જેમ રમવા લાગે છે. માફ કરશો શ્રીલંકા. આ ઉપરાતં સેહવાગે ઈન્સ્ટાગ્રામ પર પણ બાય-બાય પાકિસ્તાનનો ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘પાકિસ્તાન જિંદાભાગ! બસ જે હતું તે અહીં સુધી જ હતું. અમને આશા છે કે તમને અમારી મહેમાનનવાઝી અને બિરયાની પસંદ આવી હશે.
વર્લ્ડ કપ 2023માં ગઈકાલે ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાની ટીમ 46.4 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડે 172 રનનો ટાર્ગેટ 23.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો, આ જીત સાથે જ કિવી ટીમની નેટ રન રેટ પ્લસ થઈ અને પોઈન્ટ ટેબલમાં તે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હવે પાકિસ્તાન ટીમને સેમિફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા 287 રનથી મેચને જીતવી પડશે તેમજ જો બીજી બેટિંગ કરે તો 2.4 ઓવરમાં જ એટલે કે માત્ર 16 બોલમાં જ ટાર્ગેટને ચેઝ કરવાનો રહેશે. આ રીતે જોઈએ તો પાકિસ્તાનની ટીમની સેમિફાઈનલમાં પહોંચવાની આશા નહિવત્ છે.