ટ્રોફી પર પગ મૂકવાનો કોઈ અફસોસ નથી, ફરી આવું કરી શકું છુઃ માર્શ

Spread the love

માર્શે એમ પણ કહ્યું કે આ રીતે ટ્રોફી પર પગ મૂકવું એ અપમાનજનક ન કહેવાય, ભારતીય ક્રિકેટ ફેન તેના વર્તનથી બહુ નારાજ છે પરંતુ તેને તેની પરવા નથી

સિડની

તાજેતરમાં વર્લ્ડકપની ફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો ત્યારે ઘણા ભારતીયોને લાગી આવ્યું હતું. પરંતુ બીજા દિવસે જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો વર્લ્ડકપની ટ્રોફી પર પગ રાખેલો ફોટો વાઈરલ થયો ત્યારે ભારતીયોને વધારે દુખ થયું હતું. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન મિશેલ માર્શે વર્લ્ડકપની ટ્રોફીનું અપમાન કર્યું છે તેવી લાગણી ભારતીયોએ વ્યક્ત કરી હતી. જોકે, ઓસ્ટ્રેલિયાને ટ્રોફી સાથે એવું કોઈ ઈમોશનલ બંધન નથી તે સાબિત થઈ ગયું છે. ભારતીયોએ આટલી બધી ટીકા કરી હોવા છતાં માર્શનું કહેવું છે કે ‘તેને કોઈ અફસોસ નથી’. તેણે એમ પણ કહ્યું છે કે તે ‘આવું ફરીથી કરી શકે છે’.

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શે શુક્રવારે જણાવ્યું કે તેને આવું વિવાદાસ્પદ વર્તન બીજી વખત કરવામાં કોઈ વાંધો નથી. તેણે એમ પણ કહ્યું કે આ રીતે ટ્રોફી પર પગ મૂકવું એ અપમાનજનક ન કહેવાય. ભારતીય ક્રિકેટ ફેન તેના વર્તનથી બહુ નારાજ છે પરંતુ માર્શને તેની પરવા નથી.

ઓસ્ટ્રેલિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતને હરાવ્યું ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોને આંચકો લાગ્યો હતો. ત્યાર પછી માર્શે વર્લ્ડકપની ટ્રોફી પર બેફિકરાઈથી પગ રાખ્યા અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર થયો ત્યારે ભારતીયોને વધારે આઘાત લાગ્યો હતો. ઘણા લોકોએ આને ટ્રોફીનું અપમાન ગણાવ્યું હતું જ્યારે કેટલાક એવું કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ટ્રોફી જીત્યા પછી તેની સાથે શું કરે છે તે આપણો વિષય નથી.

હવે માર્શ દ્વારા જણાવાયું છે કે ટ્રોફી પર પગ મૂકવા વિશે હું ખાસ વિચારતો નથી. મેં સોશિયલ મીડિયા પર પણ કંઈ ખાસ જોયું નથી. તેમાં હવે કંઈ નથી. માર્શને પૂછવામાં આવ્યું કે તમે આવું ફરી વખત કરશો, ત્યારે તેણે કહ્યું કે, હા, કદાચ કરીશ.

મિશેલ માર્શની વર્લ્ડકપ સાથેની તસવીર પર ભારતીય ક્રિકેટરોએ પણ કોમેન્ટ કરી હતી અને ભારતના બોલર મોહમ્મદ શામીએ કહ્યું હતું કે તેને માર્શના વર્તનથી તેમને અફસોસ થયો છે. “જે ટ્રોફી માટે દુનિયાની આખી ટીમો લડી હતી, જે ટ્રોફીને માથે રાખવાની હોય તેના પર પગ રાખવામાં આવે તેનાથી મને દુખ થયું છે.”

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલની ટક્કર પછી તરત ટી-20 ટુર્નામેન્ટ શરૂ થઈ હતી. મિશેલ માર્શે કહ્યું છે કે આઈસીસીની ટુર્નામેન્ટ પછી તરત બીજી ટ્રોફી રાખવી ન જોઈએ અને ખેલાડીઓને પોતાના પરિવારજનો સાથે સમય ગાળવાનો સમય મળવો જોઈએ. જે લોકોને ભારતમાં રોકાવું પડ્યું છે તેઓ ઘણા નારાજ થયા હશે. પરંતુ ભારત સામે ક્રિકેટ રમવું એ બહુ મોટી વાત છે અને અમે ઓસ્ટ્રેલિયા માટે રમી રહ્યા છીએ તે મહત્ત્વનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *