ગુજરાત ટાઈટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર અરવિંદર સિંહે જણાવ્યું કે બીજી ફ્રેન્ચાઈઝીએ ટ્રેડ માટે મોહમ્મદ શમીને એપ્રોચ કર્યો હતો

મુંબઈ
ગુજરાત ટાઈટન્સની ટીમમાં આઈપીએલ 2024 પહેલા જ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેની જૂની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ગયો છે. હવે ગુજરાત ટાઈટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર અરવિંદર સિંહે જણાવ્યું છે કે બીજી ફ્રેન્ચાઈઝીએ ટ્રેડ માટે ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને એપ્રોચ કર્યો હતો. જેને લઈને તેમણે કહ્યું કે ટીમોએ ટ્રેડ માટે ડાયરેક્ટ ખેલાડીઓને સંપર્ક ન કરવો જોઈએ. જો કે તેમણે તે ફ્રેન્ચાઈઝીનું નામ જણાવ્યું ન હતું જેણે ટ્રેડ માટે શમીને એપ્રોચ કર્યો હતો.
ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર અરવિંદર સિંહે આવું કરનાર ટીમોને સલાહ આપતા કહ્યું હતું કે કોઈપણ ટીમે ખેલાડીઓને સીધો સંપર્ક કરવાની જગ્યાએ બીસીસીઆઈની પ્રક્રિયાને ફોલો કરવી જોઈએ. તેમણે એક ઈન્ટરવ્યુંમાં મોહમ્મદ શમી વિશે પુછેલા સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘મને લાગે છે કે કોઈપણ ફ્રેન્ચાઈઝી માટે ખેલાડીઓ અથવા કોચિંગ સ્ટાફ સાથે સીધો સંપર્ક કરવો ખોટું છે. ટીમોએ બીસીસીઆઈની પ્રક્રિયાને અનુસરવી જોઈએ.
હાર્દિક પંડ્યા બંને સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે વિજેતા કેપ્ટન સાબિત થયો હતો. તેણે બંને સિઝનમાં ટીમને ફાઇનલમાં પહોંચાડી અને એક વખત ટાઇટલ પણ જીત્યું હતું. આઈપીએલ 2022માં ડેબ્યૂ કરનાર ગુજરાત ટાઇટન્સ ટીમ પહેલા જ વર્ષે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ચેમ્પિયન બની હતી. આ પછી આઈપીએલ 2023માં ટીમ ફરી એકવાર ફાઇનલમાં પહોંચી, જ્યાં તેને ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો અહ્તો. પરંતુ હવે હાર્દિક આઈપીએલ 2024 માટે તેની જૂની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ગયો છે. હાર્દિકના ગયા બાદ ગુજરાતની ટીમે શુભમન ગિલને આઈપીએલ 2024 માટે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ગિલના નેતૃત્વમાં ગુજરાતની ટીમ કેવું પ્રદર્શન કરે છે.
