મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા

Spread the love

મે અદાણીનો મુદ્દો ઊઠાવ્યો એટલા માટે જ મારું સાંસદ પદ છીનવી લેવામાં આવ્યુઃ મહુઆ મોઈત્રા


નવી દિલ્હી
મહુઆ મોઈત્રા વિરુદ્ધ રજૂ કરાયેલા રિપોર્ટે તેમની મુશ્કેલી વધારી દીધી છે. આ મામલે મહુઆ મોઈત્રા વિરુદ્ધ ગૃહમાં પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટની તરફેણમાં આ પ્રસ્તાવ પાસ થતાં મહુઆ મોઈત્રાને બરતરફ કરી દેવામાં આવ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે હવે મહુઆ મોઈત્રાનું સાંસદ પદે જળવાઈ રહેવું યોગ્ય નથી. તેમનું આચરણ અનૈતિક હતું.
ઉલ્લેખનિય છે કે, ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા વિરુદ્ધ ઓક્ટોબરમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો, જેમાં દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર સંસદમાં પ્રશ્ન પુછવા એક ઉદ્યોગપતિ પાસે લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ મોઈત્રાએ આરોપોને રદીયો આપ્યો હતો અને તેમના પર લાગેલા આરોપોની તપાસ કરવા સમિતિ રચવા લોકસભા અધ્યક્ષને વિનંતી કરી.
ઉલ્લેખનીય છે કે મહુઆ મોઇત્રા પર બિઝનેસમેન દર્શન હીરાનંદાણી પાસેથી પૈસા લઈને અદાણી અંગે લોકસભામાં સવાલો પૂછવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. આ મામલે તેમના પર બિઝનેસમેન પાસેથી પૈસા અને ગિફ્ટ્સ પણ લેવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ ભાજપના સાંસદના આરોપો બાદ મહુઆએ એ વાત પણ સ્વીકારી હતી કે તેમણે બિઝનેસમેનને તેમના સંસદના લોગઈન અને પાસવર્ડ આપ્યા હતા.
મહુઆ મોઈત્રાનું સાંસદ તરીકેનું પદ છીનવાઈ ગયું છે. તેઓ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી વતી સાંસદ હતા. એથિક્સ કમિટી દ્વારા પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવાના કેસમાં તેમની સામે રિપોર્ટ રજૂ કરાયો હતો. આ રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવતાં ભારે હોબાળો થયો હતો. જેના પછી વોટિંગ કરાવીને આ રિપોર્ટની તરફેણમાં પ્રસ્તાવને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી મહુઆનું સાંસદ પદ રદ થઈ ગયું હતું. હવે આ મામલે મહુઆ મોઈત્રાની પ્રતિક્રિયા સામે આવી છે.
મહુઆ મોઈત્રાએ કહ્યું કે મે અદાણીનો મુદ્દો ઊઠાવ્યો એટલા માટે જ મારું સાંસદ પદ છીનવી લેવામાં આવ્યું છે. એથિક્સ કમિટીએ તથ્યોની તપાસ જ નથી કરી. સોગંદનામામાં વિગતો જ જુદી છે. મારી વિરુદ્ધ કેશ કે ગિફ્ટ્સ લેવાના કોઇ પુરાવા જ નથી. તેમણે સવાલ કર્યો કે મારી વિરુદ્ધ તપાસ માટે એથિક્સ કમિટીએ બિઝનેસમેન હીરાનંદાણીને કેમ ન બોલાવ્યાં? મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી છતાં મને દંડિત કરવામાં આવી. મહુઆએ કહ્યું કે આ મોદી સરકારના અંતની શરૂઆત થઈ ચૂકી છે. સાંસદ પદ છીનવાઈ જતાં મોટાભાગના વિપક્ષી દળોએ મહુઆ મોઈત્રા પ્રત્યે સમર્થન દર્શાવ્યું હતું. વિપક્ષોએ સંસદની બહાર દેખાવોમાં પણ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *