અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઇ જશે

નવી દિલ્હી
રોડ પર અકસ્માત કરીને ભાગી જનારા લોકો માટે મોટા સમાચાર છે. આ ગંભીર મુદ્દા બાબતે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપી આપતા જણાવ્યું હતું કે રોડ અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય છે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઇ જશે.
આઈપીસીની કલમ 104 હેઠળ, રોડ અકસ્માત દરમિયાન બેદરકારીથી મૃત્યુ, ઉતાવળ અથવા બેદરકારીથી મૃત્યુ થવાના ગુના માટે 2 વર્ષની જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ હતી. જો કે, નવો કાયદો લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને હવે આ કાયદો રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજુરી મળ્યા બાદ તે કાયદો બની જશે.
લોકસભાએ બુધવારે ત્રણ ગુનાહિત કાયદાઓને બદલવા માટે રજૂ કરાયેલા બિલને મંજૂરી આપી હતી. લાંબી ચર્ચા અને ગૃહમંત્રી અમિત શાહના વિગતવાર રજૂઆતપછી, ગૃહે ભારતીય ન્યાયિક સંહિતા (બીએનએસ) બિલ, 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (બીએનએસએસ) બિલ, 2023 અને ભારતીય પુરાવા (બીએસ)બિલ, 2023ને મંજૂરી આપી હતી. આ ત્રણેય બિલ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) 1860, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી) 1898 અને ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની જગ્યાએ લાવવામાં આવ્યા છે.
અમિત શાહે કહ્યું, ‘પહેલા ઇન્ડિયન સિવિલ પ્રોટેક્શન કોડ (સીઆરપીસી)માં 484 સેક્શન હતા, હવે 531 હશે, 177 સેક્શનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 9 નવા સેક્શન ઉમેરવામાં આવ્યા છે, 39 નવા પેટા-સેક્શન ઉમેરવામાં આવ્યા છે, 44 નવી જોગવાઈઓ અને સ્પષ્ટતાઓ ઉમેરવામાં આવી છે, 35 સેક્શનમાં ટાઈમલાઈન ઉમેરવામાં આવી છે અને 14 સેક્શન કાઢી નાખવામાં આવ્યા છે.
જયારે આઈપીસી બાબતે તેમણે કહ્યું, ‘ભારતીય દંડ સંહિતા જે 1860માં બનાવવામાં આવી હતી, તેનો હેતુ ન્યાય આપવાનો નહીં પરંતુ સજા આપવાનો હતો. તેના સ્થાને, આ ગૃહની મંજૂરી બાદ ભારતીય ન્યાયિક સંહિતા 2023 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. સીઆરપીસી ને બદલે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 ગૃહની મંજૂરી પછી અમલમાં લાવવામાં આવશે. તેમજ ભારતીય પુરાવા અધિનિયમ 1872 ના સ્થાને ભારતીય પુરાવા બિલ 2023 અમલમાં આવશે. તેમણે કહ્યું, ‘પહેલાના કાયદા હેઠળ બ્રિટિશ રાજની સુરક્ષા પ્રાથમિકતા હતી, હવે માનવ સુરક્ષા અને દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.’
