બેંકોની કુલ લોનમાં હોમ લોનનો હિસ્સો 47.1% છે અને ઓટો લોનનો હિસ્સો 12%થી વધુ છે

નવી દિલ્હી
આ વર્ષે હોમ લોન લેનારાઓ માટે રાહતના સમાચાર છે. દેશના ટોચના બેન્કર્સને આશા છે કે વર્ષ 2024માં હોમ અને ઓટો લોનના વ્યાજ દરમાં 0.5% થી 1.25% સુધીનો ઘટાડો થઈ શકે છે. તેનાથી વર્તમાન અને નવા હોમ લોન ગ્રાહકોને ફાયદો થશે. છેલ્લા દોઢ વર્ષમાં રેપો રેટમાં 2.5%ના વધારાને કારણે લોકોની લોન ઈએમઆઈ 16% થી વધીને 23% થઈ ગઈ છે. આવી સ્થિતિમાં વ્યાજદરમાં ઘટાડો કરવાથી મોટી રાહત મળી શકે છે. બેંકોની કુલ લોનમાં હોમ લોનનો હિસ્સો 47.1% છે અને ઓટો લોનનો હિસ્સો 12%થી વધુ છે.
નિષ્ણાતો કહે છે કે રેપો રેટમાં ઘટાડો જૂન કે જુલાઈમાં થશે તો પણ બેન્કો તેનો લાભ બે-ત્રણ મહિના પછી જ આપશે. કેટલીક બેંકો ચોક્કસપણે તેના લાભ તરત જ આપશે પરંતુ તેમાંની મોટાભાગની બેંકો સમય લે છે. અમુક બેંકો ગ્રાહકોને રેપો રેટના ઘટાડાનો થોડો લાભ જ આપે છે. તો ઘણી બેંકો નવા ગ્રાહકોને આકર્ષવા માટે વધુ ઓફર કરી શકે છે.
વ્યાજ દરોમાં ઘટાડાનો લાભ મેળવવા માટે, ગ્રાહકો માટે લોનને એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લેન્ડિંગ રેટ (ઈબીએલઆર)માં લોનને કન્વર્ટ કરી દેવી. ઈબીએલઆર સીધી રીતે રેપો રેટ સાથે જોડાયેલ હોવાથી ઈબીએલઆર હેઠળ હોમ લોન લેનારાને રેપો રેટના ઘટાડાનો સૌથી ઝડપી લાભ મળશે. કેટલીક બેંકોના ઈબીએલઆરમાં હોમ લોનના દર હાલમાં 9% કરતા ઓછા છે જ્યારે બેઝ રેટ 10.25% છે. બેંકોએ વર્ષ 2023માં 30 નવેમ્બર સુધી 45,51,584 કરોડ રૂપિયાની લોનનું વિતરણ કર્યું હતું, જે વર્ષ 2022ની સરખામણીએ 18% વધુ લોન છે.